- મંદિર જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું
- CM સાળંગપુર હનુમાનજીના કરશે દર્શન
- સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન
સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણી થઇ રહી છે. જેમાં વહેલી સવારથી દર્શન માટે હરિભક્તો ઉમટ્યા છે. મંદિર જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું છે. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર હનુમાનજીના દર્શન કરશે. મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પોની વર્ષા કરાઇ છે.
લોકડાયરો, અન્નકૂટ, પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમોનું આયોજન
આ પ્રસંગે દરમિયાન લોકડાયરો, અન્નકૂટ, પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુરધામના શ્રી કષ્ટભંજનદેવ મંદિરમાં શ્રી હનુમાન જયંતિના પાવન અવસરે મહામહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઇ છે. મંદિરમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વખતે સૌપ્રથમવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરાઇ છે. આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થ ડે સેલિબ્રેશન, મહા અન્નક્ષેત્ર તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયો છે.
સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું છે
સાળંગપુરમાં આગામી તા. 21મી એપ્રિલને રવિવારે શ્રી કષ્ટભંજનદેવનું 555 કિલો પુષ્પ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન સાંજે 4.00 કલાકે કરાયુ હતુ. રાજોપચાર માટે પાંચ પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા. તા. 22મીને સોમવારે 54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર 5,000 કિલો પુષ્પનો અભિષેક સાંજે 4 કલાકે કરાયો હતો. જ્યારે તા. 23મીને શ્રી હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે 5 વાગ્યે, શણગાર આરતી અને બર્થ-ડે સેલિબ્રેશન સવારે 7 વાગ્યે કરાયા છે. આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે. જેમાં 500થી વધુ લોકો ભાગ લેશે. હનુમાન જયંતીના દિવસે 5 હજાર કિલો ફૂલથી સમગ્ર મંદિર શણગારાશે. તેમજ સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું છે. જેમાં દાદાને સંતો અને ભક્તો દ્વારા સમૂહ મહાઆરતી કરાશે.


