છાત્રોને સારસ્વત વકતા શૈલેષ સગપરીયાએ માર્ગદર્શન આપ્યું
આગામી માર્ચ-૨૦૨૬ના ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડની પરિક્ષા યોજાઈ રહી છે ત્યારે ધો.૧૦-૧૨ના વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા સજ્જ બને, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ મજબૂત બને, પરીક્ષાનો તણાવ ઘટે અને મહેનત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તે શુભ આશય સાથે વિધાનસભા – ૬૮, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા ધ્વારા ત્રીજા વર્ષે શહેરના અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ‘પરિશ્રમ એ જ પારસમણિ’ મોટિવેશન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયાએ કરેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર નયનાબેન પેઢ ડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તેમજ પરીમલભાઈ પરડવા, પ્રજાપતિ સમાજના અગ્રણી ગોરધનભાઈ કાપડીયા, ઉદ્યોગપતિ રાજુભાઈ ગોસ્વામી, મનિષભાઈ વસોયા, વિશાલભાઈ હિરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષામાં સફળ બનાવવાનો જ નહીં, પરંતુ તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં અડગ રહે તેવો આત્મવિશ્વાસ અને માનસિક બળ આપવાનો છે. આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ જાદુઈ પારસમણિ નથી, પરંતુ સતત પરિશ્રમ, શિસ્ત અને આત્મવિશ્વાસ જ સાચી પારસમણિ છે, જે વિધાર્થીના ભવિષ્યને ઉજળું બનાવે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમ સંદેશ આપે છે કે વિદ્યાર્થીનું માનસિક સ્વાસ્થ્ય એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તેની શૈક્ષણિક સફળતા. શિક્ષણને બોજ નહીં પરંતુ આનંદ અને આત્મવિશ્વાસની યાત્રા બનાવવાનો આ પ્રયાસ છે.
આ કાર્યક્રમમાં વકતા શૈલેષભાઈ સગપરીયા ધ્વારા વિદ્યાર્થીઓને ઉદેશીને પ્રેરણાદાયી અને ઉત્સાહવર્ધક વકતવ્ય આપવામાં આવ્યું. તેમના વકતવ્યમાં તેમણે વિદ્યાર્થીઓને ભયમુક્ત બની પરીક્ષા આપવાની સલાહ આપતાં જણાવ્યું કે, પરિશ્રમ એ જ સાચો પારસમણિ છે, જે સામાન્ય વિદ્યાર્થીને અસાધારણ બનાવે છે. પરિશ્રમ ક્યારેય વ્યર્થ જતો નથી. ધો.૧૦ અને ૧૨ કક્ષાના વિદ્યાર્થીઓના ડર અને મુંઝવણ તેમના ભવિષ્યના મહત્વના નિર્ણયની આડે ના આવે તે માટે યોગ્ય કારકિર્દી ઘડતરના પ્રાપ્ત વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો જોઈએ. વિદ્યાર્થીકાળમાં યુવાનોમાં રહેલી ઉર્જાને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો જ્ઞાન, કૌશલ્ય અને સંનિષ્ઠ પ્રયાસોના ચમત્કાર પરિણામો મેળવવા આપણું યુવાધન સક્ષમ છે પરિશ્રમ કયારેય નિષ્ફળ જતો નથી અને દરેક વિદ્યાર્થીઓમાં સફળ થવાની અખૂટ શકિત રહેલી છે. તેમણે વિદ્યાર્થીઓને માર્કશીટ કરતાં વધુ મહત્વ જીવન મૂલ્યો, સંઘર્ષ અને આત્મવિશ્વાસને આપવાની પ્રેરણા આપી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયાએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનું સિંચન થાય તે અંગે પ્રાશંગિક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. વાલીઓ અને શિક્ષકો ધ્વારા પણ આ પ્રકારના માર્ગદર્શક અને પ્રેરણાદાયી કાર્યક્રમને સર્વાગિ વિકાસ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ, સામાજિક-શૈક્ષણિક સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


