- ચોથા આરોપીની ઓળખ અમનદીપ સિંહ તરીકે થઈ છે
- અમનદીપ સિંહ પર હત્યા અને હત્યાના કાવતરાનો આરોપ
- અમનદીપ સિંહ પહેલાથી જ પોલીસ કસ્ટડીમાં
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કથિત સંડોવણી બદલ પોલીસે ચોથા શંકાસ્પદની ધરપકડ કરી છે. નિજ્જરની 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી. આ ચોથા આરોપીની ઓળખ અમનદીપ સિંહ (22) તરીકે થઈ છે. બ્રિટિશ કોલંબિયામાં ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT) અનુસાર, અમનદીપ સિંહ શસ્ત્રો સંબંધિત કેસમાં ઓન્ટારિયોમાં પીલ પ્રાદેશિક પોલીસની કસ્ટડીમાં પહેલેથી જ હતો.
હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IHIT દ્વારા તપાસમાં મળેલા પુરાવાના આધારે BC પ્રોસિક્યુશન સર્વિસ પાસે અમનદીપ સિંહ પર હત્યા અને હત્યાના કાવતરાનો આરોપ લગાવવા માટે પૂરતી માહિતી છે. પોલીસે જણાવ્યું કે અમનદીપ સિંહ ભારતીય નાગરિક છે, તે કેનેડાના ઓન્ટારિયોના બ્રામ્પટનમાં રહે છે.
ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ
તપાસકર્તાઓએ ચાલી રહેલી તપાસ અને કોર્ટ પ્રક્રિયાઓને ટાંકીને ધરપકડની વધુ વિગતો જાહેર કરી નથી. કેનેડિયન પોલીસે એડમોન્ટનમાં ત્રણ ભારતીય નાગરિકો કરણ બ્રાર, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કર્યાના દિવસો બાદ આ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
નિજ્જરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે હરદીપ સિંહ નિજ્જરને વર્ષ 2020માં ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે જૂનમાં નિજ્જરને સરેના ગુરુદ્વારામાંથી બહાર આવતાની સાથે જ ગોળી મારી દેવામાં આવી હતી. હુમલામાં છ લોકો અને બે વાહનો સામેલ હતા.
કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ
હાલમાં, કેનેડિયન પોલીસે ભારત સાથે કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા આપ્યા નથી, જેમ કે કેનેડિયન મીડિયામાં અનુમાન કરવામાં આવી રહ્યું હતું. નિજ્જરની હત્યાના કારણે કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ સર્જાયો હતો અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, નવી દિલ્હી દ્વારા તેમના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો.
અમને કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી
નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ધરપકડ કરાયેલા ત્રણ ભારતીયો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ મામલે અમને કોઈ પુરાવા કે માહિતી આપવામાં આવી નથી. કેનેડાએ અમને ધરપકડ વિશે જાણ કરી છે, પરંતુ અમને કોઈ ઔપચારિક સંદેશાવ્યવહાર મળ્યો નથી. નિજ્જર હત્યા કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ ભારતીયોને ભારતે કોન્સ્યુલર એક્સેસ મંજૂર કર્યું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમને કેનેડા તરફથી કોઈ વિનંતી મળી નથી કારણ કે આરોપીઓએ હજુ સુધી કોન્સ્યુલર એક્સેસની માંગ કરી નથી.


