- આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મેચ
- પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કારમી હાર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે 3 T20 મેચોની સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની બીજી મેચ આજે રમાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. તે જ સમયે, આ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી20 મેચોની સિરીઝ રમશે. જો કે આ મેચ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મોટું નિવેદન આપ્યું છે. તેણે એ પણ જણાવ્યું કે આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારી કેવી છે?
‘અમે આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે’
ઈંગ્લેન્ડ સામેની બીજી મેચ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે અમે આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે. અમે આગામી વર્લ્ડ કપ માટે ટીમ બનાવી રહ્યા છીએ. અમારી ટીમ છેલ્લી મેચમાં હારી ગઈ હતી, પરંતુ સાયકા આઈઝેક અને શ્રેયંકા પાટીલ જેવા યુવા ચહેરાઓએ સારું પ્રદર્શન કર્યું હતું. બંને આત્મવિશ્વાસથી ભરેલા છે. પ્રથમ મેચ બાદ અમે સાથે બેઠા અને આગામી મેચોમાં કેવી રીતે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ તે વિશે વાત કરી હતી.
અમે ફિલ્ડિંગ સુધારવાનો પ્રયાસ કરશું
તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ નબળી દેખાઇ હતી. ભારતીય ખેલાડીઓએ કેચ છોડ્યા અને સરળતાથી રન આપ્યા હતા. આ અંગે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે ફિલ્ડિંગ એક એવો વિભાગ છે જેના પર અમે છેલ્લા ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ. જો કે, અમારું સંપૂર્ણ ધ્યાન અમારી ફિલ્ડિંગ સુધારવા પર છે. અમે આગામી મેચોમાં અમારી ફિલ્ડિંગમાં સુધારો કરવા માંગીએ છીએ.
પ્રથમ મેચનું પરિણામ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20 સિરીઝની હાર સાથે શરૂઆત થઈ છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમને બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 38 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ડેનિયલ વોટ (75) અને નેટ સાયવર બ્રન્ટ (77)ની શાનદાર અડધી સદી ફટકારી ઈંગ્લેન્ડે 197/6નો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 159 રન જ બનાવી શકી હતી. ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા (52)ની અડધી સદીની ઇનિંગ્સ બરબાદ થઈ ગઈ હતી. તેણે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.


