- ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને લીધી આડેહાથ
- ડ્રગ્સ પોલીસ પકડી રહી છે: હર્ષ સંઘવી
- હર્ષ સંઘવીએ કહ્યું એક રાજકીય પાર્ટી ડ્રગ્સ બાબતે રાજનીતિ કરી રહી છે
રાજ્યમાં ડ્રગ્સનો મુદ્દો હાલ ખુબ જ ચર્ચામાં છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સની ઘુસણખોરી અને લે-વેચ સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે અને શંકાસ્પદ લોકોને ઝડપી રહી છે. અત્યાર સુધી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યુ છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હવે ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી છે અને કોંગ્રેસનું નામ લીધા વગર જ કહ્યું કે એક રાજકીય પાર્ટી ડ્રગ્સ બાબતે રાજનીતિ કરી રહી છે.
પોલીસે અત્યાર સુધી હજારો કિલોનું ડ્રગ્સ પકડ્યુ: હર્ષ સંઘવી
ગૃહમંત્રીએ કહ્યું કે ડ્રગ્સ એ કોઈ રાજનીતિનો વિષય નથી, પોલીસે અત્યાર સુધી હજારો કિલોનું ડ્રગ્સ પકડ્યુ છે અને ડ્રગ્સ સામે સરકારની મુહિમ ચાલી રહી છે. ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે મહેરબાની કરીને ડ્રગ્સ બાબતે રાજનીતિ ના કરો.
આજે દ્વારકાના દરિયાકાંઠેથી 11 કરોડથી વધુ કિંમતનું 23.63 કિલો ચરસ ઝડપાયુ
દ્વારકા તાલુકાના દરિયાકાંઠેથી ફરી એક વખત કરોડો રૂપિયાનું બિન વારસી ચરસ મળી આવ્યું છે. દ્વારકા તાલુકાના મોજપ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ પોલીસને મળી આવ્યું છે. મોજપ દરિયા કિનારેથી પોલીસને 23.63 કિલો ચરસ મળી આવ્યું છે. દરિયાકિનારેથી પોલીસને ચરસના 21 પેકેટ મળી આવ્યા છે અને તેમાં 23.63 કિલો ચરસનો જથ્થો હતો. હાલમાં તેની કિંમત બજારમાં 11.84 કરોડ રૂપિયા હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દ્વારકાનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફીયાઓ માટે મુખ્ય દ્વાર બનતો જતો હોય તેવા અણસાર થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં વિવિધ સ્થળોએથી 136 પેકેટ ચરસના મળ્યા છે, આ 147.408 કિલોગ્રામ ચરસ પોલીસને બિન વારસી હાલતમાં મળી આવ્યુ છે અને તેની કુલ કિંમત 73.70 કરોડ આંકવામાં આવી રહી છે.
વ્યાજખોરો સામે પણ સરકારની લાલ આંખ
ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ રહી છે. સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે. સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે. તેમાં સુરત પોલીસે 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે. જેમાં પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે. પીડિત લોકોને 1 કરોડથી વધુની મૂડી પરત કરી છે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવે. જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે.


