હાટકેશ્વર જયંતી ચૈત્ર સુદ ચૌદશના દિવસે ઊજવવામાં આવે છે. શિવજીના હાટકેશ્વર સ્વરૂપ પાછળ એક કથા જોડાયેલી છે. આ કથા સ્કંદપુરાણના નાગર ખંડમાં સવિસ્તર વર્ણવવામાં આવી છે. આ કથા મુજબ સતીના પિતા દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. આ મહાયજ્ઞમાં તેમણે દરેક દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું હતું, પણ મહાદેવને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. સતીને પિતાના ઘરે યજ્ઞ હોવાના સમાચાર મળે છે અને તે મહાદેવને પિતાને ત્યાં હવનમાં જવાનું કહે છે, પણ મહાદેવને આમંત્રણ ન મળ્યું હોવાથી યજ્ઞમાં જવાની ના પાડે છે. પિતાના ઘરે જ યજ્ઞ હોવાથી સતી જાતને રોકી શકતાં નથી અને યજ્ઞમાં જાય છે.
યજ્ઞશાળામાં પ્રવેશતાં જ સતી જુએ છે કે તેમના પિતાએ દરેક દેવી-દેવતાને યજ્ઞમાં આદરપૂર્વક બોલાવ્યાં છે અને દરેકને સન્માનનીય સ્થાન આપ્યું છે, પરંતુ માત્ર દેવાધિદેવ શિવની જ અવગણના કરવામાં આવી છે. સતી પોતાના પિતાનું આવું અપમાન સહન કરી શકતાં નથી અને ક્રોધે ભરાઈને પોતાની જાતને જ યજ્ઞકુંડમાં હોમી દે છે. સતીની યજ્ઞમાં આવી દુર્દશા થતી જોઈને શિવજી ક્રોધે ભરાય છે અને યજ્ઞશાળામાં પ્રવેશે છે. સતીના બળેલા દેહને યજ્ઞકુંડમાંથી ઉઠાવે છે અને લાસ્ય નૃત્ય કરે છે. શિવજીના ક્રોધથી સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચી જાય છે. શિવજીને શાંત કરવા માટે પૃથ્વી પર સુવર્ણમય શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે. પછી ધીરે ધીરે શિવજી શાંત થાય છે. આ સુવર્ણમય શિવલિંગ હાટકેશ્વર નામે પૂજાય છે.
અન્ય એક કથા અનુસાર સતીના વિયોગ બાદ ક્રોધે ભરાયેલા શિવજી દિગંબર અવસ્થામાં ફરતા હોય છે ત્યારે તેમને ઋષિઓની પત્નીઓ જોઈ જાય છે અને તેમના પર મોહિત થઈને બધું જ કામકાજ ભૂલી જાય છે. ઋષિઓ આ જોઈને ખિન્ન થઈ જાય છે. તે ક્રોધે ભરાઈને શિવજીને શાપ આપે છે કે તેમનું લિંગ શીઘ્ર પૃથ્વી પર પડી જાય. એવામાં તરત જ લિંગ ધરાતલને ફાડીને પાતાળલોકમાં પહોંચી જાય છે. આ ઘટના બાદ શિવજી પોતાના સ્વરૂપને ગુપ્તવાસમાં કેદ કરી દે છે. અનિષ્ટને હરતા અને ઈષ્ટના કર્તાનું અસ્તિત્વ ગુપ્તવાસમાં કેદ થઈ જતાં પૃથ્વીલોક અને બ્રહ્માંડમાં હાહાકાર મચી જાય છે. પૃથ્વી પર કષ્ટો અને ઉત્પાત વધવા લાગે છે. આ બધું જોઈને ઋષિ-મુનિઓ બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા અને પૃથ્વી પર ઉત્પાત વધવાનું કારણ પૂછવા લાગ્યા. બ્રહ્માજીએ સમાધિસ્થ થઈને ઉત્પાત વધ્યાનું કારણ જાણ્યું. ઋષિ-મુનિને સમજાવ્યું કે શિવજીની શોકમગ્ન સ્થિતિને લીધે ઉત્પાત મચ્યો છે. ત્યારબાદ દેવી-દેવતાઓ શિવજીની સ્તુતિ કરીને તેમને રીઝવવાનો પ્રયાસ કરે છે. બ્રહ્માજી તેમને વચન આપે છે કે હિમાલયમાં મેનકાને ત્યાં સતીનો પાર્વતી રૂપે જન્મ થશે અને ફરી તે તમને પ્રાપ્ત થશે. ત્યારબાદ શિવલિંગની વિધિવત્ પૂજા કરવામાં આવી અને શિવજીએ તેને ધારણ કર્યું. જે જગ્યાએ શિવલિંગ પડ્યું હતું ત્યાં દેવી-દેવતાઓએ સુવર્ણનું લિંગ સ્થાપિત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. શિવનું આ સ્વરૂપ હાટકેશ્વરના નામથી પૂજાય છે.
હાટકેશ્વર મહાદેવ સાથે ચંદ્રગુપ્ત નામના નાગર બ્રાહ્મણની કથા પણ જોડાયેલી છે. વડનગરમાં રહેતા ચંદ્રગુપ્ત નામના રાજાએ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે બહુ આકરું તપ કર્યું હતું ત્યારે મહાદેવે સ્વયં પ્રગટ થઈને વચન આપ્યું કે, `તું વડનગરમાં સુવર્ણલિંગની સ્થાપના કર, હું ત્યાં સ્વયં પ્રગટ થઈને દર્શન આપીશ.’ ત્યારબાદ ચૈત્ર વદ ચૌદશના દિવસે હાટકેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી. કહેવાય છે કે તે દિવસે ચંદ્રગુપ્તને શિવની સાક્ષાત્ અનુભૂતિ થઈ હતી. ત્યારથી આ દિવસને હાટકેશ્વર જયંતીના તરીકે મનાવવામાં આવે છે. આ રીતે નાગર બ્રાહ્મણ ચંદ્રગુપ્તે હાટકેશ્વર મહાદેવની સ્થાપના કરાવી હોવાથી હાટકેશ્વર મહાદેવ નાગર બ્રાહ્મણના ઈષ્ટદેવ કહેવાય છે. નાગર બ્રાહ્મણો હાટકેશ્વર જયંતીને બહુ ભાવભેર ઊજવે છે. મહાદેવનું વિશેષ પૂજન-અર્ચન કરીને પાલખી કાઢવામાં આવે છે.