`રામચરિતમાનસ’માં સાત દેહોત્સર્ગનો ઉલ્લેખ જોઈ શકાય છે. પહેલો દેહોત્સર્ગ સતીનો, જે યોગઅગ્નિમાં પોતાના દેહને સમાપ્ત કરે છે. શરભંગ પણ યોગઅગ્નિમાં જાય છે. આપણે ત્યાં અગ્નિ કેટલા? ઉપનિષદમાં જઈએ તો અમુક અગ્નિની ચર્ચા આવે. એટલું જ નહીં, ઉપનિષદમાં અગ્નિની જે શિખાઓ છે એની પણ ઉપનિષદકારોએ નોંધ લીધી છે, પરંતુ `માનસ’ના આધારે મારે કહેવું હોય તો સતી એટલે કે શિવનાં ધર્મપત્ની દક્ષયજ્ઞમાં પોતાના દેહનો ઉત્સર્ગ કરે છે ત્યારે `અસ કહિ જોગ અગિનિ તનુ જારા’ તો યોગ એક અગ્નિ છે. બીજો દેહોત્સર્ગ, જે દશરથજીનો છે, એમાં યોગઅગ્નિમાં દેહનું ગમન નથી. એનો જે અગ્નિ છે એ વિયોગાગ્નિ છે. દશરથજીએ વિયોગ અગ્નિમાં પોતાના દેહનો ઉત્સર્ગ કર્યો છે. વિયોગ પણ બાળે છે. યોગ અગ્નિ છે, એમાં વિયોગ પણ અગ્નિ છે.
`ભગવદ્ગીતા’માં એક ત્રીજા અગ્નિનું નામ છે `જ્ઞાનાગ્નિ.’ જ્ઞાનનો અગ્નિ. જ્ઞાનનો અગ્નિ આપણાં કર્મને બાળી નાખે છે. એ પછી દોષવાળાં કર્મો હોય કે નિર્દોષ કર્મો હોય, જ્ઞાનાગ્નિ બધાંને બાળી નાખે છે. એક ચોથો અગ્નિ પણ `ભગવદ્ગીતા’ કહે છે વૈશ્વાનર અગ્નિ. આ અગ્નિ ચાર પ્રકારે ખાધેલું પચાવે છે, આપણા ભોજનનો ઉત્સર્ગ કરે છે. એક પાંચમો અગ્નિ છે, જે આપણે બધા જ લગભગ અનુભવીએ છીએ, એનું નામ છે ક્રોધાગ્નિ, દ્વેષાગ્નિ.
મને એક માણસે પૂછ્યું કે મને બહુ ક્રોધ આવે છે, એના ઉપાય માટે શું કરવું? જેને બહુ ક્રોધ આવે એણે આ બે-ત્રણ પ્રયોગમાંથી જે અનુકૂળ આવે એનો પ્રયોગ કરવો. એક, જેને બહુ ક્રોધ આવતો હોય એને ક્રોધના સમયે પોતાનો ઓરડો બંધ કરીને અરીસામાં પોતાનો ચહેરો જોવો. તમને એમ થશે કે હું આવો? વિકૃતિનો અનુભવ થશે.
બીજું, જેના ઉપર ક્રોધ કર્યો હોય એને સો રૂપિયા આપવાનું શરૂ કરો. ક્રોધ કરવાની છૂટ, પણ જેના ઉપર ક્રોધ કર્યો હોય એને સો રૂપિયા આપો. ક્રોધ આપોઆપ શમી જશે. એના કરતાંય સારો પ્રયોગ કહું. જ્યારે બહુ ક્રોધ આવે ત્યારે એકલા બેસીને `રામાયણ’ની ચોપાઈઓ પહાડીમાં ગાજો. ધીરે ધીરે ક્રોધની માત્રા ઓછી થશે. `ભગવદ્ગીતા’ના શ્લોક બોલજો. `પવિત્ર કુરાન’ની કોઈ કલમો પઢજો. `ગુરુગ્રંથ સાહેબ’ની ગુરુબાની પઢજો. `ધમ્મપદ’નું કોઈ પાનું ખોલજો. `આગમ’નાં વચનામૃત વાંચજો અથવા તો કોઈ સાધુએ ભજનો લખ્યાં હોય એ યાદ કરજો. ક્રોધની માત્રા ઓછી થશે. પ્રયોગ કરજો. એના કરતાંય આગળનો એક ઉપાય, પાન ખાઈ લો. કોઈ પણ ઉદાસ માણસના ચહેરાને પ્રસન્ન બનાવવો હોય તો એને પાન ખવડાવી દો. આપણે ત્યાં ઠાકોરજી કંઈ ભોગના ભૂખ્યા નથી. એ તો યોગેશ્વર છે. છતાં પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીને જ્યારે ભોગ ધરાય ત્યારે પાનબીડાં ધરાય જ. પાનનાં દ્રવ્યો દ્વારા એવી ગ્રંથિઓ ખૂલે છે કે માણસના ક્રોધની માત્રા ઊતરવા માંડે છે.
તો આપણે ત્યાં એક અગ્નિ છે ક્રોધાગ્નિ. `રામચરિતમાનસ’નું એક સાત્ત્વિક સૂત્ર છે, ક્રોધ દ્વૈતભાવ વગર આવતો નથી. તમે એકલા હિમાલયમાં બેસી જશો તો ખીજ નહીં કરી શકો. તમારે ખિજાવા માટે બીજું કોઈક જોઈશે. તો એક યોગાગ્નિ, બીજો વિયોગાગ્નિ, ત્રીજો જ્ઞાનાગ્નિ, ચોથો વૈશ્વાનર અગ્નિ, પાંચમો ક્રોધાગ્નિ. એને તમે વૈરાગ્નિ પણ કહી શકો. નિંદા જીભથી થાય અને ઈર્ષ્યા જીવથી થાય. નિંદા પ્રમાણમાં સારી પણ અંદર જે જીવથી સળગતા હોય એ અગ્નિમાંથી બચવું બહુ મુશ્કેલ છે.
તુલસીદાસજીએ `વિનયપત્રિકા’માં વળી એક નવો અગ્નિ આપ્યો-ક્ષમાગ્નિ. ક્ષમા આપવી એ પણ એક અગ્નિ છે. જેનામાં તેજ ન હોય એ બીજાને ક્ષમા ન કરી શકે. અહીં અગ્નિ એટલે તેજસ્વિતા, અસ્મિતા, પોતાપણું. તેજ એ ક્ષમાનો અગ્નિ છે. ધગેલા અગ્નિનું છાણું કે લાકડું કે લોઢું પકડીએ તો એ અગ્નિની સ્થૂળતા આપણને એકને જ દઝાડે, પણ ક્રોધનો અગ્નિ ક્રોધ કરનારને પણ નુકસાન કરે અને જેના ઉપર ક્રોધ કર્યો હોય એને પણ નુકસાન કરે. એની સામે તુલસી એક નવો અગ્નિ પ્રગટાવે છે, ક્ષમાનો અગ્નિ. વીરનું, સમર્થોનું, ક્ષમતાવાળાનું આભૂષણ ક્ષમા ગણયા છે. `ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ એમ કહેવામાં આવ્યું છે. ક્ષમા કરે એ જીતે. જોકે, જીતવાની ભાષા જ મને ગમતી નથી. જીતવાની ભાષા જ એકવીસમી સદીમાં નીકળી જાય, પણ ક્ષમા કરે એ ધન્ય છે. તુલસીદાસ ધન્યતાની વાત કરે છે. જે કુળમાં સારાં છોડ પાક્યાં હોય અને જે હરિ ભજતાં હોય એમાં જીત-હારનો ક્યાંય પ્રશ્ર આવતો નથી.
આપણે ત્યાં સત્યની એવી ચર્ચા થાય છે કે આપણે સાચા હોઈએ તો કોઈ આપણી ગમે તેટલી નિંદા કરે તો આપણને કંઈ નુકસાન નહીં થાય. સામેવાળાને જ થશે. આ વ્યાખ્યાને હું સ્વીકારું નહીં. સત્ય હોય તો બેય બાજુ નુકસાન ન થવું જોઈએ. જેની નિંદા થઈ એ નીચો ન થાય અને જેણે કરી એ પણ એમ ને એમ જ રહે. નહીંતર તો સત્યની ઉપાસના નિરર્થક નીવડે. સત્ય જ્યારે જુવાન બને ત્યારે એનું નામ પ્રેમ છે અને પ્રેમ જ્યારે પ્રૌઢ બને ત્યારે એનું નામ કરુણા છે અને કરુણા બાળક જેવી નિર્દોષ વહે ત્યારે એનું નામ પાછું સત્ય છે. આ સાઇકલ છે. આ ત્રણેય સૂત્રો યાદ રાખવા જેવાં છે. આ ત્રણ સૂત્રો મારા જીવનનો સાર છે, એટલે હું મારી રીતે એનું ભાષ્ય કર્યા જ કરું છું.
ક્ષમા એ અગ્નિ છે. બીજાને બાળવા જ છે, તો બીજાએ તમારી સામે આંગળી ચીંધી હોય, સંશયો કર્યાં હોય, એને સમિધ ગણીને ક્ષમાના અગ્નિમાં એના સંશયોને જ બાળી નાખો. એનું નામ તેજ છે.
તો `રામાયણ’ની દેહોત્સર્ગની પ્રક્રિયામાં સતી એ યોગઅગ્નિમાં ગયાં, પણ દશરથજી વિયોગની અગ્નિમાં ગયા છે. દશથજીના દેહોત્સર્ગમાં એમ લખ્યું છે કે `રામ રામ કહિ રામ કહિ રામ રામ કહિ રામ. તનુ પરિહરિ રઘુબર બિરહ રાઉ ગયે સુરધામ.’ પ્રશ્ર એ ઊઠે કે દશરથજીનો તો સંસ્કાર પણ થયો છે. તો કયા રૂપે સુરધામ ગયા? એને સમજવા માટે ઉપનિષદનો આશ્રય લેવો પડશે. સૂક્ષ્મને અહીં વિરાટ બનવાની વ્યવસ્થા છે અને વિરાટને સૂક્ષ્મ બનવાની પણ અહીં વ્યવસ્થા છે. દાખલા તરીકે એક વડલાનું બીજ જે સૂક્ષ્મ છે, એમાં આટલો મોટો સ્થૂળ વડલો થઈ શકે! અને એ જ વડલા ઉપર પાછાં સૂક્ષ્મરૂપે અનેક બીજ થાય! સૂક્ષ્મમાંથી વિરાટ બનવું, વિરાટમાંથી સૂક્ષ્મ બનવું એ અસ્તિત્વનો એક ક્રમ છે. દશરથજીએ જ્યારે સ્વધાગમન કર્યું ત્યારે એ સ્થૂળરૂપે નહીં ગયા હોય, સૂક્ષ્મરૂપે ગયા હશે અને સૂક્ષ્મ પાછું લંકાના મેદાનમાં સ્થૂળ થઈને પ્રગટ્યું! વળી, દશરથજી લંકાના મેદાનમાં રાવણના મૃત્યુ પછી રામજીને મળવા આવ્યા છે. આ બધું અવૈજ્ઞાનિક લાગે, પણ જલન માતરી લખે છે,
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
દશરથજીના શરીરનો સંસ્કાર તો ભરતજીએ કર્યો. તો સુરધામ કોણ ગયું? તો એ બીજરૂપ સુરધામ ગયું અને રાવણ મૃત્યુ પામ્યો એટલે એ બીજ સ્થૂળ બન્યું. આવો દેહોત્સર્ગ મહારાજ દશરથજીનો બતાવ્યો છે. ત્રીજો દેહોત્સર્ગ, શરભંગ ઋષિનો. એક રામપ્રેમી પાત્ર મહર્ષિ શરભંગજી. એ તો પોતાના હાથે જ ચિતા તૈયાર છે. બધી જ આસક્તિઓને મૂકીને શરભંગજી એના ઉપર બેસે છે. કોઈ અગ્નિ પ્રગટાવનાર નથી. એનામાં સ્વયં જોગ અગ્નિ પ્રગટ થાય છે અને શરભંગ વિદાય લે છે.