- રોડ રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીને પગલે લોકોને ભારે મુશ્કેલી
- 7 જેટલા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા
- વાહનચાલકો અને સ્થાનિકોને પણ ભારે હાલાકી
જામ ખંભાળીયાના સલાયામાં આજે વરસેલા ધોધમાર વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. શહેરના મુખ્ય બજાર, બંદર રોડ, બેઠક રોડ, બસ સ્ટેન્ડ ચોક સહિતના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીને પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદના કારણે 7 જેટલા ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને 7 જેટલા ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો અને ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ઘુસતા ખેડૂતોના પાક ધોવાયા છે અને ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે વરસાદી પાણીને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ
આજે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વેરાવળ-જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ, અન્ય 3 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 17 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 55 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ઘણા ડેમના દરવાજા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખોલવા પડ્યા
સૌરાષ્ટ્રના અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ઘણા ડેમના દરવાજા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખોલવા પડ્યા છે અને આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદી પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને અનેક ગામડામાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે અને લોકોને લાઈટ વગર પણ રહેવા માટે મજબૂર બનવુ પડ્યુ છે.
પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. ઘેડ પંથકમાં જ્યાં જૂઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. ખેતરો, રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, તેથી અનેક જગ્યાએ પૂરના પાણી રેલવે ટ્રેક પર પણ ફરી વળ્યા છે, જેના કારણે પાટાનું ધોવાણ થતા દિલ્હી-પોરબંદર ટ્રેનને ભાણવડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી હતી.


