- હમાસ-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં હવે હિઝબુલ્લાહ પણ રણ મેદાનમાં
- 3 ઇઝરાયેલના ટાર્ગેટ પર હિઝબુલ્લાએ કર્યો મિસાઇલ હુમલો
- ઈઝરાયેલની ટેન્ક ઈઝરાયેલ-લેબનોન બોર્ડર તરફ આગળ વધી
ઇઝરાયેલના શહેરો પર પેલેસ્ટિનિયન હુમલામાં લગભગ 600 ઇઝરાયેલના લોકો માર્યા ગયા છે, જ્યારે 2000 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલના વળતા પ્રહારમાં 313થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સેનાએ દક્ષિણ ઇઝરાયેલમાં 12થી વધુ ટેન્કર ખડકી દેવામાં આવ્યા છે. ઇઝરાયેલ પર હમાસના ઉગ્રવાદીઓના અણધાર્યા હુમલાના એક દિવસ બાદ લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ પણ રવિવારે વિવાદિત વિસ્તારમાં 3 ઇઝરાયેલના ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.
હિઝબુલ્લાહ પણ રણ મેદાનમાં
લેબનોનનું હિઝબુલ્લા ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઉતરી ગયું છે. રવિવારે સવારે, હિઝબુલ્લાએ દક્ષિણ લેબનોન વિસ્તારમાંથી ઇઝરાયેલ પર મોર્ટાર અને શેલ છોડ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે પણ પોતાની બંદૂકો હિઝબુલ્લાહની સ્થિતિ તરફ ફેરવી છે. મળતી માહિતી મુજબ, ઈઝરાયેલની ટેન્ક ઈઝરાયેલ-લેબનોન બોર્ડર તરફ આગળ વધી રહી છે, કારણ કે ઈઝરાયેલ અને લેબનોનના શક્તિશાળી સશસ્ત્ર જૂથ હિઝબુલ્લા વચ્ચે તણાવ વધી ગયો છે. આર્ટિલરી અને રોકેટ બંને બાજુથી ફાયર કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે લેબનીઝ સરહદ પર હિઝબુલ્લાહ ચોકી પર હુમલો કર્યો છે.
3 ઇઝરાયેલના ટાર્ગેટ પર હિઝબુલ્લાએ કર્યો મિસાઇલ હુમલો
ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે લેબનોનના તે ભાગમાં આર્ટિલરી ફાયર કરી છે જ્યાં આજે સવારે સીમાપારથી તોપમારો થયો હતો. તે જ સમયે, હિઝબુલ્લાએ કહ્યું કે તે પેલેસ્ટાઇનના “પ્રતિરોધ” જૂથોના નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે. તે ઇઝરાયેલ પર પેલેસ્ટિનિયન હુમલાઓને સમર્થન આપે છે. હમાસનો આ હુમલો ઈઝરાયેલ માટે સ્પષ્ટ અને મજબૂત સંદેશ છે. હિઝબુલ્લાએ આજે શેબા ફાર્મ્સમાં સ્થિત ઇઝરાયેલની સૈન્ય ચોકીને નિશાન બનાવી છે. હિઝબુલ્લાહ દક્ષિણ લેબનોન પર નિયંત્રણ ધરાવે છે.
ટેન્કર હવે ઈઝરાયેલ-લેબનોન બોર્ડર તરફ આગળ વધી
ઈઝરાયેલના પ્રવક્તાએ ગાઝાના દરાજ વિસ્તારમાં રહેતા લોકોને વહેલી તકે વિસ્તાર ખાલી કરવા અપીલ કરી છે.તેમણે કહ્યું કે પેલેસ્ટિનિયન લડવૈયાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનથી અમને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવાની ફરજ પડી રહી છે. અમને તમને અથવા તમારા પરિવારોને નુકસાન પહોંચાડવામાં કોઈ રસ નથી, કૃપા કરીને તમારી પોતાની સુરક્ષા માટે વિસ્તાર ખાલી કરો. એ પણ કહ્યું કે હુમલા પહેલા અમે અઝીઝ મસ્જિદ નજીકના અલ-દરાજ પડોશના રહેવાસીઓને તાત્કાલિક સ્થળ છોડી દેવાનું આહ્વાન કરીએ છીએ.
ગાઝામાં પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 313 લોકો માર્યા ગયા છે અને લગભગ 2,000 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં એક પોલીસ અધિકારીએ બે ઇઝરાયેલી પ્રવાસીઓને મારી નાખ્યા છે. બીજી બાજુ, હમાસે દાવો કર્યો હતો કે તેની અલ-કાસમ બ્રિગેડે રવિવારે ઇઝરાયેલના વિસ્તારમાં વધારાના દળો મોકલ્યા હતા.