- તમિલનાડુમાં અરજદારે એક મંદિર માટે અરજી કરી
- હાઇકોર્ટે રાજ્યના તમામ હિન્દુ મંદિરો માટે ચુકાદો આપ્યો
- કોર્ટે રાજ્યના તમામ મંદિરોમાં બિનહિન્દુ માટે પ્રવેશબંધી લાગુ કરવા આદેશ કર્યો
મદ્રાસ હાઇકોર્ટે પોતાના એક આદેશમાં તમિલનાડુ સરકારને જણાવ્યું હતું કે તેઓ તમામ હિન્દુ મંદિરમાં એક ખાસ બોર્ડ લગાવે. આ બોર્ડમાં ગેરહિન્દુઓને કોડિમારમ એટલે કે ધ્વજસ્તંભથી આગળ જવાની અનુમતિ નથી તેવું લખવામાં આવે તેમ મદ્રાસ હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુઓને પણ પોતાના ધર્મને માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે. મંદિરને કોઇ પર્યટનનું સ્થળ સમજવામાં ના આવે. મંદિરમાં પૂજા-અર્ચના ઉપરાંત અન્ય કશું પણ થવું યોગ્ય નથી. નોંધનીય છે કે હાઇકોર્ટની મદુરાઇ બેન્ચના ન્યાયમૂર્તિ એસ શ્રીમતીએ ડી. સેંથીલ કુમારની અરજી પર સુનાવણી કરતાં આ ચુકાદો આપ્યો હતો. ખાસ બાબત એ છે કે સેંથીલ કુમારે દિંડીગુલ જિલ્લાના પલાનીમાં આવેલા ભગવાન મુરુગુન સ્વામીના મંદિર અને ઉપમંદિરમાં ફક્ત હિન્દુઓને જવાની અનુમતિનો નિર્દેશ આપવા આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મંદિરોના પ્રવેશદ્વાર પર તેને લગતાં બોર્ડ લગાવવાનો આદેશ કરવા પણ વિનંતી કરી હતી. જો કે હાઇકોર્ટે રાજ્યના તમામ હિન્દુ મંદિરો માટે ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટનો આદેશ તમામ હિન્દુ મંદિરોને લાગુ થશે
જ્યારે પ્રતિવાદીઓ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી કે ઉપરોક્ત અરજી ફક્ત પલાની મંદિર માટે જ દાખલ કરવામાં આવી હતી અને તેથી આદેશ ફક્ત તેના પૂરતો સીમિત હોવો જોઇએ ત્યારે કોર્ટે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે આ એક મોટો મુદ્દો છે અને તે તમામ હિન્દુ મંદિરો પર લાગુ થવો જોઇએ તેથી પ્રતિવાદીઓની અરજી ફગાવી દેવામાં આવે છે. હિન્દુ ધર્મને સંબંધિત લોકોને પોતાની આસ્થાને માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે તેથી રાજ્ય સરકાર, માનવ સંસાધન તતા મંદિરના વહીવટદારો સહિત તમામને હિન્દુ મંદિરો માટેના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટનો આ ચુકાદો દિર્ઘગામી અસર કરી શકે છે. કારણ કે અનેક મંદિરોમાં બિનહિન્દુ સમુદાયના લોકોના પ્રવેશનો વિરોધ થતો રહ્યો છે.
માત્ર વાસ્તુશિલ્પ જોવા માટે મંદિરમાં ના જઇ શકો : કોર્ટ
મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ મંદિરો વાસ્તુશિલ્પ સ્મારકો હોવાના કારણે મંદિરના સંકુલમાં વાસ્તુકલાની પ્રસંશા કરતાં લોકો તેનો ઉપયોગ પિકનિક સ્પોટ કે પર્યટનના સ્થળના રૂપમાં ઉપયોગ કરી શકે નહીં. મંદિરના પરિસરને શ્રાદ્ધાની સાથે અને નીતિ-નિયમો અનુસારનો બનાવી રાખવો જોઇએ.
પ્રતિબંધ ધર્મો વચ્ચે સાંપ્રદાયિક સદભાવને સુનિશ્ચિત કરશે : કોર્ટ
હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ વિભિન્ન ધર્મોની વચ્ચે સાંપ્રદાયિક સદભાવને સુનિશ્ચિત કરશે. સાથે સમાજમાં શાંતિને પણ સુનિશ્ચિત કરશે. તેથી રાજ્ય સરકાર, માનવ સંસાધન અને સીઇ વિભાગ, પ્રતિવાદીઓ તથા મંદિરના મેનેજમેન્ટમાં સામેલ તમામ વ્યક્તિઓને તમામ હિન્દુ મંદિરો માટેના નિર્દેશોનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે હિન્દુ ધર્મ સાથે સંબંધિત લોકોને આસ્થામાં માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે.


