ક્યારેય પણ ઉતાવળે હોમ લોન ના લેવી
ઘરનું ઘર લેવાનું સપનું સાકાર કરવા માટે NOC વિષે જરૂર માહિતી મેળવવો
Updated: Oct 7th, 2023
Home Loan NOC: મોટાભાગના લોકોનું એક ઘરનું ઘર લેવાનું સપનું હોય જ છે. જ્યારથી વ્યક્તિની નોકરી લાગે છે ત્યારથી તેની ઈચ્છા હોય છે કે જે આવક છે એમાંથી થોડી બચત કરીને એક ઘર લેવાય જાય. પરંતુ આ મોંઘવારીમાં માત્ર સેલેરીમાંથી ઘર લેવું શક્ય નથી. જોકે બેન્ક તેના માટે હોમ લોનની સુવિધા આપે છે. સરકારી તેમજ પ્રાઇવેટ બંને બેન્કમાંથી હોમ લોન મળી શકે છે. જો તમે પણ ઘર લેવાનું વિચારતા હોય તો તમારે પણ વ્યાજદરની જાણકારીની સાથે NOC વિષે પણ જરૂરથી જાણી લેવું જોઈએ. તો આજ તમને જણાવીએ કે NOCનો હોમ લોનમાં શું રોલ હોય છે અને તે કવી રીતે મદદ કરી શકે છે.
શા માટે NOCની જરૂરિયાત ?
નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ (NOC)ની જરૂર લોન ચૂકવી દીધા બાદ પડતી હોય છે. જો તમે કોઈ બેન્કમાં લોન લેવા બાબતે તપાસ કરી રહ્યા છો તો સાથે સાથે એ પણ પૂછો કે જો તમે લોન ચૂકવવાનો સમય પૂરો થાય તે પહેલા એકસાથે બધી રકમ જમા કરવો છો તો તમને કેટલા દિવસમાં NOC મળશે. લોનની ચુકવણી કર્યા પછી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાનું ભૂલી જવાથી નાણાકીય અને કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
લોન પૂરી કરવાનું એક મહત્વનું પગલું
લોન NOC એ એક ખાસ ડોક્યુમેન્ટ છે જે એ વાતની સાબિતી છે કે તમે ઉધાર લીધેલી રકમ ચૂકવી દીધી છે અને લોન સંબંધિત તમામ જવાબદારીઓ પૂરી કરી છે. એવું જોવામાં આવે છે કે ઘણા લોકો હોમ લોન ચૂકવ્યા પછી NOC મેળવવાનું ભૂલી જાય છે. એમાં પણ પર્સનલ લોન કરતા પણ હોમ લોનના પેમેન્ટ બાદ NOC લેવું ખુબ જ જરૂરી છે. NOC એ લોન પ્રક્રિયા પૂરી કરવાનું એક મહત્વનું પગલું છે.
ક્રેડિટકાર્ડ સ્કોર પર પણ પડે છે અસર
તમારા ક્રેડીટ સ્કોરને પણ અસર કરે છે. કોઈપણ વ્યક્તિને લોન તેના ક્રેડીટ રીપોર્ટની શાખ પર મળતી હોય છે. NOC ન મેળવો ત્યાં સુધી તમારા ક્રેડીટ રીપોર્ટ પર લોન પેન્ડીંગ બતાવે છે. જે તમારા ક્રેડીટ સ્કોર પર નેગેટીવ અસર દર્શાવે છે. ભવિષ્યમાં જો તમારા દ્વારા પેર્સનલ લોન કે હોમ લોન લેવામાં આવે તો તેના પર પણ એક નેગેટીવ પ્રભાવ પડી શકે છે. અ ઉપરાંત જો ભવિષ્યમાં તમે તે ઘર વેચવા માંગો છો તો પણ NOC વગર એ વેચી શકો નહિ. કારણ કે ખરીદદારોને લાગે છે કે તમે લોનની રકમ ચૂકવી નથી.
વ્યાજ તેમજ અન્ય શુલ્ક
ઘણી વખત એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિ લોનની આખી રકમ જમા કરાવે પછી પણ તેને લોનની રકમ ચૂકવવા બાબતે મેસેજ આવતા રહે છે અને વ્યાજ પણ વધતું જાય છે. તેની પાછળનું કારણ એ છે કે કેટલીકવાર બેંકો NOC વગર તમારી લોન બંધ કરી શકતી નથી. તેમને આ કેસમાં લોન લેનાર સામે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર છે. આના પરિણામે કેસ, સંપત્તિ જપ્તી અથવા સેલેરી બાબતે તકલીફ પડી શકે છે. જે પાછળથી તમારા માટે નાણાકીય બોજ બની શકે છે. તેથી લોન ચૂકવ્યા બાદ તુરંત જ બેન્કમાંથી NOC લેવું હિતાવહ છે.