બિહારમાં વિપક્ષની ‘મતદાર અધિકાર યાત્રા’ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ સાઈટ X પર એક પોસ્ટમાં, અમિત શાહે કહ્યું કે વડ પ્રધાન અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ “માત્ર નિંદનીય જ નહીં પણ આપણા લોકશાહી પર એક કલંક પણ છે.”
કોંગ્રેસ પાર્ટી તેના જૂના માર્ગો અને પાત્ર પર પાછી ફરી છે: અમિત શાહ
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ એ સહન કરી શકતી નથી કે એક ગરીબ માતાનો પુત્ર છેલ્લા 11 વર્ષથી પ્રધાનમંત્રી તરીકે કેવી રીતે સેવા આપી રહ્યો છે. “રાહુલ ગાંધીના નેતૃત્વમાં, કોંગ્રેસનું રાજકારણ તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ પાર્ટી તેના જૂના માર્ગો અને પાત્ર પર પાછી ફરી છે, જેના દ્વારા તેણે હંમેશા દેશની રાજકીય સંસ્કૃતિને ઝેર આપ્યું છે.” શાહે વધુમાં કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધી, ગાંધી પરિવારે વડાપ્રધાન મોદી વિરુદ્ધ નફરત ફેલાવવામાં કોઈ કસર છોડી નથી. તેમણે વધુમાં કહ્યું, “જોકે, હવે તેમણે શિષ્ટાચારની બધી હદો પાર કરી દીધી છે. આ દરેક માતા, દરેક પુત્રનું અપમાન છે, જેના માટે 140 કરોડ દેશવાસીઓ તેમને ક્યારેય માફ નહીં કરે.”
ભારતની જનશક્તિ કઠોર જવાબ આપશેઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
બીજી તરફ આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ટ્વીટ કરતા કહ્યું કે કોંગ્રેસ અને આરજેડીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા અંગે જે અભદ્ર અને અનૈતિક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો, તે અત્યંત નિંદનીય અને અસહ્ય છે. આવી ભાષા દ્વારા કોંગ્રેસ અને આરજેડી એ રાજનૈતિક મૂલ્યો અને મર્યાદાઓ પર કુઠારાઘાત કર્યો છે. આ માત્ર વડાપ્રધાનના સ્વર્ગીય માતાનું નહીં, પણ દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે. આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે અને 140 કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલો પ્રહાર છે. બિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે. ભારતની જનશક્તિ આ અવિવેકી કૂકૃત્યનો કઠોર જવાબ આપશે.


