માન–વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
મારા નાનપણની વાત આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરવા માગું છું. હું સ્કૂલમાં ભણતી ત્યારે શ્રી અટલબિહારી બાજપાઈ આપણા ભારત દેશના વડાપ્રધાન હતા. અમારી સ્કૂલમાં ત્યારે દરેક ક્લાસમાં એક નાનકડો ક્વીઝ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેમાં જનરલ નોલેજ ના નાના નાના પ્રશ્નો પૂછવામાં આવતા અને એ જવાબ આપનાર વિદ્યાર્થીને નાનકડી ભેટ આપવામાં આવતી. એ દિવસે અમારા ક્લાસમાં જનરલ નોલેજના આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા હતા અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારત દેશના વડાપ્રધાન કોણ છે? બધા એકી અવાજમાં બોલ્યા આપણા દેશના વડાપ્રધાન છે અટલ બિહારી બાજપેયી. પ્રશ્ન પૂછતા હતા એ સાહેબ કહે, ખોટી વાત. એટલે અમે બધા નવાઈ પામી એકબીજાની સામે જોવા લાગ્યા. પછી સર કહે બધા સાથે નહીં, એક એક કરીને બોલો. ફરી પાછો બધાએ જવાબ વારાફરતી આપ્યો, અને એ જ જવાબ આપ્યો કે વડાપ્રધાન છે, અટલ બિહારી બાજપાઈ. ફરી સર કહે, ખોટો જવાબ. એક વિદ્યાર્થીનીએ કહ્યું, આપણા દેશના વડાપ્રધાન છે ‘શ્રી અટલ બિહારી બાજપાઈ’. અને તેને વિજેતા જાહેર કરી.
એ દિવસે અમે બધા શીખ્યા કે આપણાથી મોટા જે વ્યક્તિઓ છે તેમને માન-વાચક સંબોધનોથી બોલાવવા જોઈએ. તેમના નામ આગળ પણ માન-વાચક સંબોધન લગાવવુ એ સુજ્ઞ ભાષા છે. પણ આ તો જહેર ક્ષેત્રની સન્માનીય વ્યક્તિની વાત થઇ. સામાન્ય સંજોગોમાં શું? આપણે ઘણી વાર જોઈએ છીએ કે સોસાઇટીમાં કે ઓફિસમાં જે સિક્યુરીટી હોય એને ‘તું’કારો કરાય છે, જયારે તેમની ઉંમર હોય છે દાદાની ઉંમર જેટલી. આ તબક્કે મને એમ લાગે છે કે આપણે એ સિક્યુરિટી ભાઈને ‘દાદા’ કે ‘વડીલ’ કે પછી ‘ભાઈ’ કહીને બોલાવીએ તો એ પણ પોતાની જાતનું મહત્વ સમજશે. એમને કોઈ પણ સંબોધનથી બોલાવો, સોંપેલ કાર્ય કરવું એ એમની ફરજમાં આવે છે. પણ આપણે માણસ તરીકે આપણી માણસાઇની ફરજ ચુકી તો નથી જતા ને?! વિચારવાની વાત છે.
શાળામાં ભણતુ આપણું બાળક બધાને માન દઈને બોલાવે, મેનર્સ શીખવતુ શિક્ષણ એને મળે એવી આપણી ઈચ્છા હોય છે. આ વસ્તુ શીખવી પણ જોઈએ. પણ બાળક જે જોવે એ જ વધુ પડતુ અનુકરણ કરે છે. માત્ર કહી દીધેલી વાત પર બાળક એટલુ ધ્યાન નથી આપતુ, જેટલુ એ જોઈને, અનુકરણથી શીખે છે. દરેક વ્યક્તિને પોતાનુ એક માન સન્માન હોય છે. આત્મ સન્માન હોય છે, જે જાળવવુ એ બીજી વ્યક્તિની ફરજ કહેવાય. બાળક નાનું છે અને ઘરમાં બીજું મોટુ બાળક છે, તો આપણે નાના ભાઈ કે બહેનને શીખવીશુ, કે, ‘આ તારો મોટો ભાઈ/બહેન છે. ‘ભાઈ/દીદી’ અને ‘તમે’ કહીને બોલાવાય.’ બાળકે સાંભળી લીધું, હા પાડી અને ફરી બોલાવશે કઈ રીતે? ‘દીદી તુ, ભાઈ તુ.’ કેમ આવુ થયુ? કારણકે આપણે તો બંને બાળકોને ‘તું’કારો જ કરીએ છીએ. માટે નાના બાળકે એ અનુકરણ કર્યુ. એટલે જરૂરી લાગે તો થોડો વખત પુરતો ઘરમાં જ એકબીજાને સંબોધનમાં ફેરફાર કરી નાખવો કે મોટુ બાળક ઘરના બધા માટે ‘દીદી કે ભાઈ’. નાનુ બાળક આ અનુકરણ જલ્દી શીખશે.
અમુક લોકોને મેં બોલતા સાંભળ્યા છે, જેઓ બાળકને પણ ‘તમે’ કહીને જ બોલાવશે. અને આમ જોઈએ, તો માન મળે એ કોને ન ગમે! માન આપશો તો માન મેળવશો, એ વાત તો નક્કી જ છે ને. દરેક વ્યક્તિનું પોતાનું એક આત્મસમ્માન હોય છે. આપણે તેમની સાથે વાત કરતી વખતે એ આત્મસમ્માનને ધ્યાનમાં રાખીએ, નહીં કે એમના હોદ્દાને કે તેમની નાણાકીય લાયકાતને. અને આ વસ્તુ જ બાળક આપણી પાસેથી શીખશે, તો, એ બાળકને વિનમ્ર બનાવશે, અને બાળકના મનમાં લોકો માટે દયાભાવ પણ રહેશે. જેથી કરીને બાળકનું સુંદર ઘડતર થશે.
ડૉ. ચારૂતા ગણાત્રા ઠકરાર
એમ.ડી.(હોમીયોપેથી)
કન્સલ્ટીંગ હોમીયોપેથ, રાજકોટ.


