- હાલ કરદાતાઓ માટે જૂનું અને નવું એમ બે ટેક્સ રિજીમ લાગુ છે
- મોદી સરકારે કરદાતાઓ માટે ટેક્સ છૂટની રકમ અઢી લાખથી વધારીને સાત લાખ કરી
- 2014 પહેલાં ટેક્સપેયર્સ માટે માત્ર 2.5 લાખ જ છૂટ હતી
નાણાપ્રધાન નિર્મલા સીતારામને વચગાળાનું બજેટ રજૂ કરતા ઇન્કમટેક્સ મુદ્દે મોટી વાત કહી છે. તેમણે 2014 પહેલાંના સમયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કરદાતાઓ માટે છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું બદલાઇ ગયું છે. અમે કરોડો ટેક્સપેયર્સને ફાયદો આપ્યો છે અને આજે દર વર્ષે તેમના હજારો રૂપિયા ટેક્સના રૂપમાં બચે છે. નાણાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, 2014 પહેલાં ટેક્સપેયર્સ માટે માત્ર 2.5 લાખ જ છૂટ હતી. અમે તેને વધારીને સાથ લાખ રૂપિયા કરી નાખી છે. જોકે, નાણાપ્રધાન જે છૂટની વાત કરે છે તે નવા ટેક્સ રિજીમમાં મળે છે. 2014 પહેલા સુધી માત્ર જૂનું ટેક્સ રિજીમ જ લાગુ હતું. તેવામાં આપણે આ વાતની તુલના કરી શકીએ છે કે તે સમયે જૂના ટેક્સ રિજીમ અને આજના નવા રિજીમમાં શું પરિવર્તન થયું છે અને ટેક્સપેયર તરીકે દર વર્ષે તમારા કેટલાં પૈસા બચે છે.
2014 સુધી પાંચ લાખની કમાણી પર કેટલો ટેક્સ હતો ?
જો આપણે પાંચ લાખ રૂપિયાની એક નિશ્ચિત વાર્ષિક આવક ગણીએ તો તેના પર કેટલો ટેક્સ ચૂકવવો પડતો હતો તે જોવું રસપ્રદ રહેશે. જૂના ટેક્સ રિજીમ હેઠળ 2014 પહેલા સુધી અઢી લાખ સુધીની કમાણી ટેક્સ મુક્ત હતી. જ્યારે અઢીથી પાંચ લાખ સુધીની કમાણી પર સીધો 10 ટકા ટેક્સ લાગતો હતો એટલે કે અઢી લાખ પર 10 ટકા આવકવેરો જેનો અર્થ થાય છે કે તમારે 25 હજાર રૂપિયા સુધી ટેક્સ ચૂકવવો પડતો હતો. આમાં કોઇપણ પ્રકારની છૂટને સામેલ કરાઇ નહોતી.
આજે પાંચ લાખ પર કેટલો ટેક્સ ?
જો વર્તમાન ટેક્સ સ્લેબની વાત કરીએ તો જૂના ટેક્સ રિજીમ હેઠળ હાલ પણ અઢી લાખ સુધીની કમાણી સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. અઢીથી પાંચ લાખ સુધીની કમાણી પર પાંચ ટકા ટેક્સ લાગે છે. એટલે કે તમારી અઢી લાખની કમાણી પર પાંચ ટકા એટલે કે 12,500 રૂપિયાનો ટેક્સ લાગે છે.
સીધી 25 હજારની બચત
જો બચતની વાત કરીએ તો અહીં થોડો ટ્વિસ્ટ છે. જોઇએ તો 2014 પહેલા ટેક્સપેયર્સને પાંચ લાધ સુધીની કમાણી પર 25 હજાર કર ચૂકવવો પડતો હતો જે હવે 12.5 હજાર થઇ ગયો છે. એટલે કે જો તમે ટેક્સ ચૂકવતા હો તો તમને વાર્ષિક 12.5 હજારની બચત થશે પરંતુ સરકારે જૂના ટેક્સ રિજીમમાં પણ પાંચ લાખ સુધીની કમાણી પર રિબેટ આપ્યો છે. એટલે કે જો તમારી કમાણી પાંચ લાખ સુધીની છે તો ટેક્સ લાગુ પડયા બાદ પણ પૂરી છૂટ મળશે અને તમારે ચૂકવવાપાત્ર ટેક્સની રકમ શૂન્ય રહેશે. આમ તમારા દર વર્ષે 25 હજાર રૂપિયા બચે છે.


