- CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કરારો થયા
- 77 MoU સાથે રૂપિયા 35 હજાર કરોડના રોકાણ આવવાની સંભાવના
- સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા
આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ ૨૩ MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે, આમ આ સાથે જ આ રોકાણથી 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે.
કુલ 77 MoU સાથે રૂપિયા 35 હજાર કરોડના સંભવિત રોકાણો
રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે, તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમઓયુ હસ્તાક્ષરની 13 શ્રુંખલામાં 77 MoU સાથે રૂપિયા 35 હજાર કરોડના સંભવિત રોકાણો થયા છે. આ ઉપરાંત આજે એમઓયુ હસ્તાક્ષરની 14મી શ્રુંખલામાં 23 MoU સાથે રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ થયા છે. એટલે કે આજ દિન સુધી 100 MoU સાથે રૂપિયા 1.35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે.
મોટાપાયે થશે રોજગારીનું સર્જન
આજે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂપિયા 27,271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10,100 રોજગારનું સર્જન થશે. તે ઉપરાંત પાવર ક્ષેત્રમાં રૂપિયા 45,600 કરોડના અંદાજિત રોકાણ સાથે 5,500 રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂપિયા 4,000 કરોડના અંદાજિત રોકાણ સાથે 2,000 રોજગારનું સર્જન, એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂપિયા.13,070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8,150 રોજગારનું સર્જન, ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂપિયા.4,469 કરોડના અંદાજિત રોકાણ સાથે 34,650 રોજગારનું સર્જન, શિક્ષણ ક્ષેત્રમાં રૂપિયા 3100 કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે 8,200 રોજગારનું સર્જન તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂપિયા 3500 કરોડના અંદાજિત રોકાણ સાથે 1290 રોજગારનું સર્જન થશે.
અગ્રણી પ્રધાનો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ એમઓયુ અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ 2025 થી 2030 વચ્ચે શરૂ કરશે. અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થવાના છે. એમઓયુ હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસજેહૈદર, એમકેદાસ તેમજ વરિષ્ઠ સચિવો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.


