અવંતી નગરી માલવાનું નાક ગણાતું. આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં સમગ્ર ભારતની રાજધાની ગણાતી હતી. આ અવંતી નગરીમાં એ સમયે ભદ્ર નામના શેઠ રહેતા હતા. અત્યંત ધનાઢ્ય. દેશ-વિદેશમાં એમનો બહોળો વ્યાપાર હતો. એમનાં ધર્મપત્ની પણ ભદ્રા નામનાં હતાં. એ પણ ગુણવતી અને શીલવતી હતાં. એમને એક દીકરો હતો. એની કાયા અત્યંત સુકોમળ હતી એટલા માટે એનું નામ પડી ગયેલું અવંતી સુકુમાલ. એ જ્યારે યુવાન વયનો થયો ત્યારે લગીશ રૂપવતી અને ગુણવતી કન્યાઓ સાથે એનાં લગ્ન કરાવ્યાં.
વ્યવસાય તો એને જોવાની જરૂર નથી. એના પિતા વ્યવસાય સંભાળતા હતા. માતા ઘર સંભાળતી હતી અને અવંતી સુકુમાલ પુણ્ય ભોગવવામાં સમય પસાર કરતો હતો. અત્યંત આનંદપૂર્વક એ આખા પરિવારનો સમય પસાર થઈ રહ્યો હતો. સમય મળે ત્યારે ભગવાનની ભક્તિ કરી લેતા.
એક દિવસ અવંતી નગરીમાં આર્ય સુહસ્તીસૂરિજી નામના આચાર્ય ભગવંત પધાર્યા હતા. આચાર્ય સુહસ્તિસૂરિજીની સાથે પાંચસો સાધુ મહાત્માઓ હતા. આટલા બધા મહાત્માઓને રહેવા માટે પણ જગ્યા તો થોડી મોટી જોઈએને! જગ્યાની તપાસ કરવા માટે એ સાધુ મહાત્માઓ ભદ્ર શેઠની હવેલીમાં પહોંચ્યા. જઈને ઘરના માલિકણ ભદ્રા શેઠાણીને કહ્યું, અમારે રહેવા માટે મકાનની જરૂરિયાત છે. તમને જો તકલીફ ન હોય તો તમારા મકાનમાં થોડા દિવસ રહીને આગળ વિહાર કરીશું.
ભદ્રા શેઠાણીએ કહ્યું ચોક્કસ પધારો, આપ મારા ઘર પધારો અને આપને જે કોઈ પણ ચીજની જરૂરિયાત હોય એનો પણ મને જ લાભ આપજો.
ભદ્રા માતાએ પ્રેમથી અને ભક્તિથી મહાત્માઓનું સ્વાગત કર્યું. એક વિશાળ કમરામાં આચાર્ય ભગવંતશ્રી આર્ય સુહસ્તીસૂરિજી બિરાજમાન છે.
રાતનો સમય હતો. નીરવ શાંત વાતાવરણ હતું. સંસારીજનો પોતાના રંગરાગમાં વ્યસ્ત હતા, તો સાધુ મહાત્માઓ એમના સ્વાધ્યાયમાં મસ્ત હતા. કેટલાક મહાત્માઓ ધ્યાન વગેરે અલગ અલગ સાધના કરી રહેલા હતા. કેટલાક મહાત્માઓ ગુરુદેવ આર્ય સુહસ્તીસૂરિજી પાસે અધ્યયન કરી રહ્યા હતા. ગુરુદેવ સમજાવી રહ્યા હતા.
શિષ્યો શ્રદ્ધાપૂર્વક ગુરુજીની વાણી સાંભળતા હતા. બાર દેવલોક હોય છે. એની ઉપર નવ લોકાંતિક નામના દેવલોક આવે છે અને એનાથી આગળ ઉપરના ભાગમાં અનુત્તર નામના પાંચ દેવલોક આવેલા છે. એમાં એક વિમાન હોય છે. એનું નામ છે નલિની ગુલ્મ વિમાન. એ વિમાનની વિશેષતાઓ એમાં રહેલાં વિવિધ પ્રકારના શોભાનાં સાધનો, એની દીવાલો એની છતે લગાડેલાં લટકણિયાઓ, હવાના ઝોકાથી ઝુમ્મરનાં લટકણિયાઓમાં થતાં સ્પંદનો એકબીજાની સાથે અથડાવાના કારણે થતો ઝંકાર અને એમાંથી સર્જાતું સંગીત આ બધાનું વર્ણન ગુરુ મહારાજ સંભળાવી રહ્યા હતા.
બાજુના જ કમરામાં બેઠેલા અવંતી સુકુમાલ શાંતિથી એકચિત્તે સાંભળી રહ્યો હતો. ઘણીવાર આપણને એવા અનુભવો થતા હોય છે કે આ વાત તો મેં સાંભળેલી છે. આ વાત મારા ધ્યાનમાં છે. હકીકતમાં આપણે એ વાત પહેલાં કોઈની પાસે ન સાંભળી હોવા છતાં આવું થાય. કોઈ માણસને આપણે સાવ ઓળખતા પણ ન હોઈએ છતાં એવું લાગે કે આ માણસને આપણે ઓળખીયે છીએ. આ બધા પૂર્વના સંસ્કારો હોય છે. ગયા ભવમાં ગમે તે રીતે આપણા સંપર્કમાં કોઈ આવેલું હોય તો પણ આવો અનુભવ થઈ શકે છે.
જેમ જેમ ગુરુદેવના શબ્દો એના કાનમાં પડતા જાય છે તેમ તેમ એને એ ઘટના, એ પરિસ્થિતિ એના અંતરને સ્પંદિત કરતું હતું અને અચાનક જાણે એને કંઇક એવું ફીલ થવા લાગ્યું. એને કંઈ સમજાય ન સમજાય. એની આંખ સામે એ દૃશ્ય આવવા લાગ્યું. જે શબ્દો, જે વર્ણન ગુરુદેવ કરી રહ્યા હતા એનો સાક્ષાત્ અનુભવ-દર્શન એને આનંદાશ્ચર્ય થવા લાગ્યું. વાસ્તવમાં એને એનો પૂર્વ ભવ યાદ આવી ગયો. આને જાતિ સ્મરણ જ્ઞાન કહે છે. આવું બધાને નહીં, પણ ક્યારેક કોઈકને જ થાય.
પેલા અવંતિ સુકુમાલને ગયા ભવનો બોધ થયો છે, પણ એને આશ્ચર્ય એનું થાય છે કે શું આ મહાત્મા પણ નલિની ગુલ્મ વિમાનમાં જઈને આવ્યા હશે?
જે પોતે સ્વયં અનુભવ કરીને આવેલો એ બધી ચીજોનું વર્ણન હતું. એનાથી રહેવાયું નહીં. એ જ સમયે ગુરુભગવંતની પાસે એ પહોંચી ગયો. ગુરુભગવંતની વાતો સાંભળતો રહ્યો. પાઠ સમાપ્ત થયો એટલામાં વાત ચાલુ કરી. ભગવન આપે જે વાતો હમણાં કરેલી, તમે ત્યાં જઈને આવેલા. ગુરુદેવ એની વાતમાં બરાબર સમજેલા નહીં, જ્યારે સમજ્યા ત્યારે કહ્યું, ભાઈ અમે ત્યાં ગયા હોઈએ એ તો યાદ નથી, પણ અમે શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા એ તમે સાંભળ્યું હશે.
પણ એ કેવી રીતે શક્ય બને? કોઈ પણ માણસ ત્યાં ગયેલો ન હોય એ આવું હૂબહૂ વર્ણન કેવી રીતે કરી શકે? હું તો ત્યાં જઈને અનુભવ કરીને આવેલો છું એટલે મને ખબર, પણ આપને કેવી રીતે જાણ થઈ? અવંતી સુકુમાલને ભરપૂર વિસ્મય હતું.
ગુરુદેવ કહી રહ્યા છે, ભાગ્યશાળી એને જોયું છે કે નહીં એ વાત મહત્ત્વની નથી, પણ મહત્ત્વની વાત તો એ છે કે જ્ઞાની ગુરુભગવંતોએ પોતાના જ્ઞાનથી જોયેલું હોય એ ક્યારેય અસત્ય ન હોય. તમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તમે પૂર્વમાં જે અનુભવીને આવ્યા છો એટલે. આ તો શાસ્ત્રો અને તમારી અનુભૂતિ આ બેય ટેલી થઈ ગયા, મને એનો આનંદ થાય છે.
પેલો અવંતી સુકુમાલ તો ગુરુદેવની વાણી સાંભળી સ્તબ્ધ થઈ ગયો. જે વસ્તુને તમે જોયેલી નથી ક્યારેય, તમે ત્યાં ગયા નથી અને છતાં આપે એવું વર્ણન કર્યું કે જેમાં કોઈ વાત છૂટી શકી નથી, પણ હવે મારી વિનંતી છે ભગવન કે, મારે ફરીને ત્યાં જવું હોય તો શું કરવું પડે? હવે મને ત્યાં ગયા સિવાય ચેન પડશે નહીં. આવું સુખ મેળવવા શું કરવું પડે?
ગુરુદેવે સમજાવ્યું, ભાગ્યશાળી, સર્વશ્રેષ્ઠ પુણ્ય ઉત્પન્ન કરવા ઉત્તમ ચારિત્ર જીવન જીવવું જોઈએ. એના ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય, કર્મોનો ક્ષય અથવા ક્ષયોપશમ થાય અને તમારું ઈષ્ટ તમને મળી શકે.
હવે આપ મને દીક્ષા આપો – જલદી મને દીક્ષા આપો. તમારે દીક્ષા લેવાનો ભાવ હોય તો તમારા માતા-પિતાની રજા લાવવી પડે. તમારાં માતા-પિતાની રજા વગર અમે તમને દીક્ષા આપી શકીએ નહીં.
માતા-પિતાની રજા મળે એમ નથી અને હવે મારાથી આ રીતે રહેવાય એમ નથી તો હવે હું શું કરું? આમ વિચારીને એણે પોતાની જાતે જ સંયમ જીવન સ્વીકારી લીધું અને તરત જ ગુરુદેવની આજ્ઞા લઈને આત્મસાધના માટે જંગલ તરફ રવાના થયો. કોઈ પણ વસ્તુને મેળવવા માટે એની પાછળ લાગી જવું પડે તો જ મળે. અવંતી સુકુમાલ પણ એની પાછળ લાગી ગયો છે. બસ હવે મારે નલિની ગુલ્મ વિમાનમાં જવું જ છે. જંગલમાં જઈને એના ધ્યાનમાં લાગી ગયો.
આચાર્ય ભગવંતની પાસે એનાં માતા-પિતા વગેરે આવે છે. પૂછે છે મારો દીકરો આપની પાસે આવ્યો છે? ક્યારનો એ દેખાતો નથી. ક્યાંય પણ જવું હોય તો અમને પૂછ્યા વગર ક્યાંય જતો નથી, પણ આજે એ દેખાતો નથી. કદાચ આપના ધ્યાનમાં હોય.
આર્ય સુહસ્તિસૂરિજી કહી રહ્યા છે, એ મારી પાસે આવ્યો હતો. એને સંયમ જીવન સ્વીકારવાનો ભાવ હતો. માતા-પિતાની રજા વગર દીક્ષા ન આપવાની વાત કરી તો એણે પોતાની જાતે જ દીક્ષા લઈ લીધી અને સાધના કરવા જંગલમાં ગયો છે. માતા-પિતા વગેરે એને શોધવા માટે જંગલમાં ગયાં.
અવંતી સુકુમાલ મુનિ જંગલમાં ગયા. ઉત્તમ સાધના કરીને મારે નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થવું છે, કારણ કે ત્યાં જે સુખ છે એવા અહીંના શ્રેષ્ઠ ગણાતા સુખ પણ મને તુચ્છ જણાય છે. સુખ અને દુઃખ માણસની પોતાની વિચારણાને આધીન હોય છે. વ્યક્તિએ વ્યક્તિએ સુખ અને ફળની વ્યાખ્યાઓ બદલાતી હોય છે.
જંગલમાં એક શિયાલણી હતી. એ આગળના જન્મમાં એની માતા હતી. વિચાર કરજો કર્મ માણસને ક્યારેય છોડતાં નથી. ગમે તેવા સંબંધો હોય એ મહત્ત્વના નથી હોતા, પણ તમે કેવાં કર્મો કરો છો? અને એ સમયે તમારી વિચારધારા કેવી છે એના આધારે કર્મો બંધાય છે અને એના સમયે એ કર્મો ઉદયમાં આવે છે.
પેલી શિયાલણી ભલે પૂર્વ ભવની માતા હતી, પણ હતી એની દુશ્મન. એના શરીરને લોહીલુહાણ કરી દીધું અને ધરાઈને એના રુધિર માંસનું ભક્ષણ કર્યું.
જ્યારે એનાં માતા-પિતા વગેરે ત્યાં પહોંચ્યાં ત્યારે એના કોઈ અવશેષ પણ એમની નજરે પડ્યા નહીં. પાછા એ ગુરુદેવની પાસે આવ્યા ત્યારે એમને કહ્યું, તમારો દીકરો મરણ પામ્યો છે. એની ચિંતા કરીને દુઃખી ન થશો, કારણ કે ફરીને નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયો છે. એની ભાવના ફળી છે. આપણે પણ વિચારવું જોઈએ કે આપણી શુભ ભાવના પરિપૂર્ણ કરવા ત્યાગ અને તપસ્યાનો માર્ગ અપનાવવો જોઈએ.


