ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે સંબંધિત કેન્દ્રીય કોન્ટ્રાક્ટના લિસ્ટ જાહેર કરી શકે છે. આ વખતે બોર્ડ કોન્ટ્રાક્ટમાં ઘણા ફેરફારો કરશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને નુકસાન થઈ શકે છે.
આ લિસ્ટમાં રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ હાલમાં A પ્લસ ગ્રેડમાં સામેલ છે. પરંતુ હવે તેમનો ગ્રેડ A માં બદલી શકાય છે.
રોહિત, કોહલી અને જાડેજાએ 2024 ના T20 વર્લ્ડકપ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બોર્ડના નિયમો મુજબ જે ખેલાડીઓ ODI, ટેસ્ટ અને T20 ત્રણેય ફોર્મેટ રમે છે તેમને A પ્લસ ગ્રેડમાં મૂકવામાં આવે છે. પરંતુ રોહિત, જાડેજા અને કોહલીએ T20 ને અલવિદા કહી દીધું છે. તેથી તેમના ગ્રેડ બદલી શકાય છે. આનાથી તેમને નુકસાન થશે.
કોહલી, રોહિત અને જાડેજાને થઈ શકે છે આર્થિક નુકસાન
બીસીસીઆઈ ગ્રેડ પ્રમાણે પગાર ચૂકવે છે. આ પરિસ્થિતિમાં, રોહિત, કોહલી અને જાડેજાને પગારમાં નુકસાન થઈ શકે છે. આ ત્રણેય ખેલાડીઓને ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બીસીસીઆઈ એ પ્લસ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા આપે છે. જ્યારે ગ્રેડ A ના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે.
A+ ગ્રેડમાં ફક્ત ચાર ખેલાડીઓ
બીસીસીઆઈના વર્તમાન કોન્ટ્રાક્ટમાં, A પ્લસ ગ્રેડમાં ફક્ત ચાર ખેલાડીઓ છે. રોહિત, વિરાટ અને જાડેજાની સાથે જસપ્રીત બુમરાહનો પણ આમાં સમાવેશ થાય છે. જો આપણે ગ્રેડ A ની વાત કરીએ તો હાલમાં તેમાં છ ખેલાડીઓનો સમાવેશ થાય છે. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને રવિચંદ્રન અશ્વિન આ લિસ્ટનો ભાગ છે. રિષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવ ગ્રેડ Bનો ભાગ છે.


