ભારતે ન્યુઝીલેન્ડને 44 રને હરાવ્યું છે. આ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 249 રન બનાવ્યા હતા, જેમાં શ્રેયસ ઐયરની 79 રનની ઈનિંગે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
જેના જવાબમાં, ન્યુઝીલેન્ડ 44 રનથી લક્ષ્યથી દૂર રહી ગયું. કેન વિલિયમસને 81 રનની ઈનિંગ રમી, પરંતુ તે પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી ન શક્યો.
ભારતની ઓપનિંગ જોડી, રોહિત શર્મા અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થઈ ગયા. આ વિરાટ કોહલીના કરિયરની 300મી ODI મેચ હતી, જેમાં તે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો. પરંતુ ગ્લેન ફિલિપ્સે એવો જાદુઈ કેચ પકડ્યો કે મેદાનમાં હાજર બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વિરાટે 11 રન બનાવ્યા. પરંતુ શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે 98 રનની પાર્ટનરશિપ સાથે ટીમ ઈન્ડિયાને સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરી. ઐયરે 79 રન બનાવ્યા, જ્યારે અક્ષર પટેલે 42 રનનું યોગદાન આપ્યું. હાર્દિક પંડ્યાએ પણ 45 રન બનાવ્યા અને ભારતને 249 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.
વરુણ ચક્રવર્તીનું ચક્રવ્યૂહ
ભારતની જીતમાં સૌથી મોટો ફાળો શ્રેયસ ઐયર અને વરુણ ચક્રવર્તીએ આપ્યો. આ પહેલા શ્રેયસ ઐયરે દુબઈની ધીમી પીચ પર 79 રનની ઈનિંગ રમી. બોલિંગમાં, વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લઈને કિવીઝને ખૂબ મુશ્કેલીમાં મુક્યા. આ ચક્રવર્તીની ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂ મેચ છે, જેમાં તેને બેટથી ઈતિહાસ રચ્યો. વરુણ ચેમ્પિયન્સ માટે પોતાની ડેબ્યૂ મેચમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર છે.
ગ્રુપ Aના ટોપ પર ભારતીય ટીમ
ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ Aમાં તેની ત્રણેય મેચ જીતીને ટોપનું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેને 6-6 વિકેટના માર્જિનથી હરાવ્યા. હવે ન્યુઝીલેન્ડનો પણ 44 રને પરાજય થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આ પહેલી વાર છે જ્યારે દુબઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલા બેટિંગ કરનારી ટીમ વિજયી બની છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઈનલનું સમીકરણ એવું હતું કે ગ્રુપ A માં ટોપની ટીમ ગ્રુપ B માં બીજા ક્રમે રહેલી ટીમનો સામનો કરશે. હવે બંને ગ્રુપ પર નજર કરીએ તો, ભારત 4 માર્ચે પ્રથમ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે દુબઈમાં ટકરાશે.


