એક સારો પ્રશ્ન એક હિન્દીભાષી શ્રોતાએ પૂછ્યો છે કે, `પ્રગટવું, જન્મવું અને અવતરવું – એ ત્રણમાં મૌલિક ભેદ શું છે?’ `બાલકાંડ’ એ પરમાત્માને પ્રગટ કરનારો કાંડ છે. `અયોધ્યાકાંડ’માં ભગવાન પોતે બોલ્યા કે અમે જન્મ્યા છીએ. `માનસ’માં ઘણા અવતારો છે.
પાર્વતી પણ એક અવતાર છે. તો પ્રભુનું પ્રગટવું, પ્રભુનું જન્મવું અને પ્રભુનું અવતરવું, એમાં મૌલિક અંતર મારી દૃષ્ટિએ એટલું જ કે પ્રગટવું એને કહેવાય કે જે નીચેથી ઉપર આવે. જેમ મણિ ખાણમાંથી પ્રગટે. જેમ ખેતરમાં વાવેલું બીજ અંકુરિત થઈને બહાર પ્રગટે. નીચેથી ઉપરની તરફ ગતિ કરવી એને એક અર્થમાં પ્રગટવું કહેવાય. જન્મવું મધ્યમાં છે. ત્યાં કોઈના ગર્ભમાંથી બહાર આવવું પડે છે અને ઉપરથી નીચે આવવું તેને અવતરવું કહેવાય. ભગવાન રામના જન્મના અનેક હેતુ છે, એમાં ત્રણેય વસ્તુને તુલસીએ લીધી છે. પ્રભુ પ્રગટ્યા, પ્રભુ જન્મ્યા અને પ્રભુ અવતર્યા. પ્રગટવું એ આધ્યાત્મિક ભાવ છે. જન્મવું એ સાંસારિક ભાવ છે અને અવતરવું એ કેવલ કૃપાનો ભાવ છે. એટલા માટે પ્રભુ કરુણામૂર્તિ છે. ભગવાન રામનાં આ ત્રણેય લક્ષણો `માનસ’માં બતાવ્યાં છે.
જ્યારે જ્યારે રામ જન્મે છે ત્યારે બધાં જ તીર્થો દોડીદોડીને એ ભૂમિએ પહોંચે છે. એ તો એક ઐતિહાસિક ઘટના થઈ, પણ જ્યારે જ્યારે કોઈ પણ સાધકમાં પરમાત્માની સ્ફૂર્તિ થાય, પ્રગટીકરણ થાય ત્યારે પણ એવી ભૂમિકાએ જગતભરનાં તીર્થો આવી એ વાતાવરણને સુશોભિત કરતાં હોય છે. આપણે ત્યાં કહેવાય છે કે બુદ્ધને જ્ઞાન પ્રગટ્યું ત્યારે ફૂલનો વરસાદ થવા માંડ્યો હતો. ભગવાન મહાવીર સ્વામીને કેવલપદ પ્રાપ્ત થયું ત્યારે પણ આવું સર્જાયું હતું. તો રામ મારા ને તમારા અંતરમાં જાગે. પડ્યો તો છે જ. તુલસીદાસજીનો `રામચરિત માનસ’માં એક બહુ જ મોટો પ્રશ્ન છે,
અસ પ્રભુ હૃદયં અછત અબિકારી.
સકલ જીવ જગ દીન દુખારી.
ઈશ્વર બધાનાં હૃદયમાં છે, છતાં દુનિયા દીન-હીન અને દુ:ખી કેમ છે? તુલસીદાસજીનો બહુ જ મોટો પ્રશ્ન કે ઈશ્વર જો બધાનાં હૃદયમાં છે, તો પછી આપણને આનંદ કેમ નથી આવતો? આ જગત દીન-દુ:ખી કેમ છે? જવાબ શોધવો રહ્યો. મને જે સૂઝે તે જવાબ આ છે કે પાડોશીને ત્યાં રેડિયો હોય અને આપણે ત્યાં પણ રેડિયો હોય. પડોશીનો રેડિયો જૂનો હોય અને આપણી પાસે નવો હોય. પાડોશીના રેડિયામાં સંગીત સંભળાય અને આપણા રેડિયામાં ન સંભળાય! ઋષિમુનિઓને બ્રહ્મસંગીત સંભળાયું અને મને ને તમને કેમ ન સંભળાયું? આ સંતો-ફકીરો એ તો કેવા લંગોટી થઈને ફરે ને આશ્રમમાં રહે. એનો રેડિયો તો સાવ જૂનો. આપણા તો કેટલા સારા! અને છતાં પરમહંસને જે આનંદ આવ્યો તે આપણને કેમ નથી આવતો? પછી આનો જવાબ હું શોધું કે પાડોશીના ઘર કરતાં આપણા ઘરમાં સારો રેડિયો હોય છતાં આપણામાં કેમ સંગીત ન સંભળાય ને આને સંભળાય, એનાં ચાર કારણો છે.
એક, પાડોશીએ રેડિયો ચાલુ કર્યો ને આપણે ચાલુ નથી કર્યો. ઘણાના સિત્તેર-સિત્તેર વર્ષ સુધી રેડિયો બંધ પડ્યા છે! ઋષિમુનિઓએ જીવનને ખોલ્યું, આપણે ખોલ્યું નથી. એટલે સંગીતના અધિકારી આપણે હોવા છતાં આપણે સંગીત સાંભળી શકતા નથી. બીજું, પાડોશીના રેડિયો અંદરથી બગડેલો નહીં હોય અને આપણો અંદરથી એટલો બગડેલો છે કે ખરખરાટ સિવાય બીજું કંઈ આવતું જ નથી. માનવજીવનને ત્રણ રીતે બગડતું વર્ષોથી મેં જોયું છે. એક, ઈર્ષ્યા. તમારાં જ સગાંની તમે એની શું કામ કરો છો? બીજું, સહધર્મી તરફ અસૂયા-દ્વેષ. કથાકાર, કથાકારની અસૂયા કરે! લોકસાહિત્યકાર, લોકસાહિત્યકારની અસૂયા કરે! એક ક્ષેત્રમાં રહેલા લોકો પોતાના ક્ષેત્રમાં સ્પર્ધાત્મક વૃત્તિને લીધે એકબીજાનો દ્વેષ કરે! અને ત્રીજું, સંપ્રદાયવાદ. `મારો સંપ્રદાય જ મોટો!’ મોટો, મુબારક! પણ બીજાને તોડે છે શું કામ? આ બગડેલા રેડિયાનું લક્ષણ છે. કેટલી સ્પર્ધાઓ ચાલે છે! આ ત્રણને લીધે રેડિયો બગડ્યા છે! આમ તો રેડિયો આઉટ ઓફ ડેટ ગણાય, પણ છતાંય આપણે રેડિયો રાખતા હતા ત્યારે રેડિયો બગડે તો એના ખાસ રિપેરર પાસે આપણે રિપેર કરવા જતા. એમ અંદરથી જેનો રેડિયો બગડ્યા હોય એણે કોઈ સદ્ગુરુની પાસે જઈને રેડિયો ઠીક કરાવી લેવો. આ બધા બુદ્ધપુરુષો રિપેરર છે. ઘણા રેડિયોને સદ્ગુરુએ થપાટ મારવી પડે છે ત્યારે જ વાગે છે! એ પ્રહાર નથી હોતો, એ પ્રસાદ હોય છે. બીજાને મારે એ સદ્ગુરુ કહેવાય જ નહીં. પ્રસાદ આપે એ સદ્ગુરુ. આવા બુદ્ધપુરુષો આપણા અંદરથી બગડેલા માનવશરીરરૂપી રેડિયાને રિપેર કરે છે. ત્રણ પ્રકારની ઈર્ષ્યાથી મને ને તમને દૂર રાખે છે. એક ત્રીજું કારણ, પાડોશીએ સ્ટેશન મેળવ્યું છે ને આપણે સ્ટેશન હજી મેળવ્યું નથી! સ્ટેશન મળી જવું જોઈએ. ચોથું અને છેલ્લું કારણ, રેડિયો સ્ટેશન બંધ થઈ ગયું ને પછી આપણે ચાલુ કર્યું હોય! કાન બંધ થઈ ગયા, આંખો બંધ થઈ ગઈ ને પછી રેડિયો ચાલુ કર્યો! એટલે પ્રભુએ સંપત્તિ આપી હોય તો એનો સદુપયોગ કરી લેવો. સમય આવ્યો હોય તો હરિ ભજી લેવો. સદ્બુદ્ધિ આપી હોય તો કો’કને સારી સલાહ આપવી. આ બધા સમયસર રેડિયો શરૂ કરવાનાં લક્ષણો છે. ઘણા કહે છે કે આ કથાથી શું થાય? લોકો અહીંયાં સમયસર રેડિયો ચાલુ કરવા આવે છે. આમાં વપરાયેલી સંપત્તિ, સમજ અને સમય મારી દૃષ્ટિએ સાર્થક છે. કથા લોઢાને પારસની જેમ સોનું કરી નાખે એ કથાની એટલી મોટી અસર ન ગણાય, પણ કથા લોઢા જેવા માણસોને સોનું નહીં, પારસ બનાવી દે, પછી એ બીજાને અડે એટલે એને સત્સંગની ભૂખ જાગે. મારે કહેવાનું એ કે સ્ટેશન બંધ થાય એ પહેલાં રેડિયો ચાલુ કરીએ.
ભગવાનની કથા આપણામાં રામ પ્રગટાવે છે. અયોધ્યામાં તો ઐતિહાસિક રામ, પુરાણપુરુષ રામ પ્રગટ્યા, પણ આપણા હૈયામાં ભગવાનની કથા એક બ્રહ્મતત્ત્વને પ્રગટાવે છે. કોઈ કૌશલ્યા મળી જાય તો એના કોઠેથી પરમાત્મતત્ત્વને જન્માવે છે અને ભગવાનની કથા કૃપા કરી મારા ને તમારા જીવનમાં ઈશ્વરનું અવતરણ કરે છે. ભગવાન રામના જનમનાં પાંચ કારણો તુલસીદાસજીએ લખ્યાં છે. જય-વિજય, સતીવૃંદાનો શાપ, નારદજીનો શાપ, મનુ-શતરૂપાનું તપ અને રાજા પ્રતાપભાનુને અપાયેલો શાપ. આ `રામજનમ કે હેતુ અનેકા.’ આ એક પછી એક કથા પરમ વિચિત્ર છે. તુલસી જ લાવ્યા છે આ પાંચેય કારણો. કોઈ જગ્યાએ એક મળશે, કોઈ જગ્યાએ બે મળશે, પણ આ પાંચેય વસ્તુ તુલસી અહીં પંચામૃતની જેમ લઈ આવ્યાં છે.
રામકથામાં અથવા તો જીવનમાં હનુમંતવંદના ખૂબ જ આવશ્યક છે. તમે ગમે તે ધર્મ કે સંપ્રદાયથી દીક્ષિત હો, પણ હનુમાનજીનો આશ્રય કરવો. હનુમંતતત્ત્વ સદ્ગુરુતત્ત્વ છે, બુદ્ધતત્ત્વ છે, જાગૃત તત્ત્વ છે. બાળક-વૃદ્ધ-યુવાન, બહેનો-ભાઈઓ સૌ કોઈ હનુમાનજીને સેવી શકે છે. આપણે ત્યાં એક બહુ જ ખોટી વાત થાય છે કે બહેનોથી હનુમાનજીનું સ્મરણ ન કરાય. એવું કંઈ છે જ નહીં. બહેનોને પહેલો અધિકાર છે. બહેનો મા છે અને હનુમાનજીને પણ જનમ દેનારી કો’ક મા તો હશેને? `હનુમાનચાલીસા’ કે હનુમાનજીની સેવાનો અધિકાર નારીને નહીં, એ વાત હવે ચાલવી ન જોઈએ. નારી પણ ભગવાન છે. ક્યાં સુધી માતૃઅવહેલના આ દેશ કરતો રહેશે? નારીને ભગવાનપણું સોહ્યલું છે, પુરુષને દોહ્યલું છે, કારણ કે નારી પાસે આંસુ છે. ભગવાનનો જન્મ આંસુડાંમાંથી થાય છે. આપણી આંખો ભીની થાય તો પ્રત્યેક તિથિ રામનવમી બની શકે. બહેન-બેટીઓને પણ હનુમાનજીના સ્તોત્રનો અધિકાર છે. સિંદૂરવાળાની આરતી સિંદૂરવાળાં જ ઉતારી શકે.