ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ખતરનાક યુદ્ધ ચાલી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે જો આ યુદ્ધ વધુ ઊંડું થશે તો ભારતના વેપારની સાથે પશ્ચિમ એશિયાના દેશો પર સૌથી મોટી અસર પડશે. આમાં ઈરાન, ઈરાક, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમન જેવા દેશોનો સમાવેશ થાય છે જ્યાં ભારતની કુલ નિકાસ 8.6 અરબ ડોલર અને આયાત 33.1 અરબ ડોલર સુધી પહોંચે છે.
મુંબઈ સ્થિત નિકાસકાર અને ટેક્નોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના સ્થાપકે ચેતવણી આપી છે કે, યુદ્ધની ભારતના વેપાર પર ગંભીર અસર પડશે. તેમની કંપનીએ ઈરાન અને ઇઝરાયલમાં માલ મોકલવાનું પણ બંધ કરી દીધું છે. આ યુદ્ધ હવે ગંભીર કટોકટી બની રહ્યું છે.
ભારત ઈરાન અને ઇઝરાયલને શું મોકલે છે?
ભારતે નાણાકીય વર્ષ 2024-25માં ઈરાનને કુલ 1.24 અરબ ડોલરની નિકાસ કરી હતી, જેમાં બાસમતી ચોખા (753.2 મિલિયન ડોલર), કેળા, સોયાખોળ, ચણા અને ચા જેવા કૃષિ ઉત્પાદનો મુખ્ય હતા. આ સમયગાળા દરમિયાન, ભારતે ઈરાનથી 441.8 મિલિયન ડોલરના માલની આયાત પણ કરી હતી. ભારતનો ઈઝરાયલ સાથેનો વેપાર 2.1 અરબ ડોલરની નિકાસ અને 1.6 અરબ ડોલરની આયાત રહ્યો હતો. હવે યુદ્ધને કારણે ચુકવણી પ્રણાલી અને શિપિંગ જોખમોમાં વધારો થવાને કારણે ભારતના વેપાર પર વધુ અસર પડી શકે છે.
શું યુદ્ધના કારણે ભારતને થશે મોટી અસર?
સૌથી મોટી ચિંતા હોર્મુઝ સ્ટ્રેટની છે જેના દ્વારા ભારતને 60-65% ક્રૂડ ઓઇલ સપ્લાય કરવામાં આવે છે. ઈરાને આ જળમાર્ગ બંધ કરવાની ધમકી આપી છે. આ માર્ગ એટલો મહત્વપૂર્ણ છે કે તે એકલો જ વૈશ્વિક તેલ વેપારનો લગભગ 20 ટકા હિસ્સો સંભાળે છે.
આ સામુદ્રધુની ઈરાન અને ઓમાન/યુએઈ વચ્ચે આવેલું છે અને સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, કુવૈત અને કતારથી તેલ અને એલએનજી નિકાસ કરે છે. ભારત માટે જે તેની 80%થી વધુ ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. જો અહીં પુરવઠો ખોરવાશે, તો ઇંધણના ભાવ વધશે, ફુગાવો વધશે, રૂપિયો દબાણ હેઠળ આવશે અને નાણાકીય સંતુલન બગડી શકે છે.
ભારત-યુરોપ અને ભારત-અમેરિકા વચ્ચેના વેપારને અસર
Red Seaનો માર્ગ પહેલાથી જ હુથી બળવાખોરોના હુમલાઓથી પ્રભાવિત છે જેના કારણે ભારત-યુરોપ અને ભારત-અમેરિકા વચ્ચેના વેપારને અસર થઈ છે. ભારતના 80% યુરોપિયન વેપાર અને કુલ નિકાસના 34% આ દરિયાઈ માર્ગો દ્વારા થાય છે. વિશ્વ વેપાર સંગઠન (WTO)એ પણ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો 2025 માં વૈશ્વિક વેપારમાં 0.2%નો ઘટાડો થઈ શકે છે જે અગાઉ 2.7% વૃદ્ધિનો અંદાજ હતો.