- ડેવલપર્સને કુલ 3,13,764 ચો.મી.ના TDRનો લાભ મળ્યો
- ફ્ક્ત 10 સ્લમ પોકેટ ડેવલપ થવાને કારણે પોલિસીમાં સુધારા કરાશે
- ઝુંપડપટ્ટીની સામે ગરીબો માટે બે રૂમ રસોડાનાં પાકા મકાન આપવામાં આવે છે
AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝૂંપડાવાસીઓને પાકાં મકાનો આપવા અને ઝૂંપડપટ્ટી એરિયાને ડેવલપ કરવા માટેની પોલિસી 2010માં અમલમાં મૂકવામાં આવી છે અને અત્યાર સુધીમાં 10 એરિયામાં સ્લમ વિસ્તારો ડેવલપ કરાયા છે. સ્લમ ડેવલપ કરનાર ડેવલપર્સને અન્ય વિસ્તારોમાં ટ્રાન્સફર ઓર ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) આપવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3,13,764 ચો.મી. એરિયાના TDRનો લાભ અપાયો છે. ઉલ્લેખનીય છેકે, આ યોજના અમલમાં મુક્યાને 10-15 વર્ષ થઇ ગાયાં છતાં શહેરમાં અત્યાર સુધીમાં ફ્ક્ત 10 સ્લમ પોકેટ ડેવલપ થઇ શક્યા છે. આ સ્કીમને ધાર્યા મુજબ સફળતા નહીં મળવાને કારણે વધુને વધુ ડેવલપર્સ આગળ આવે તે માટે યોજનામાં સુધારા વધારા કરવા માટે મ્યુનિ. સત્તાધીશો વિચારણા કરી રહ્યા હોવાનુ જાણવા મળે છે.
AMC દ્વારા સ્લમ વિસ્તારોમાં ઝુંપડા ત્યાં પાકા મકાન બનાવી આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત મ્યુનિ. દ્વારા જે તે સ્લમનાં ડેવલપમેન્ટ માટે બીડ મંગાવવામાં આવે છે અને તેમાં સફ્ળ થનારા ડેવલપર્સ દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતાં નાગરિકોને મકાન ભાડુ અને ઘરવખરી ખસેડવાની રકમ આપવામાં આવે છે અને ઝુંપડપટ્ટીને તોડી પાડીને તેની જગ્યાએ ગરીબો માટે બે રૂમ રસોડાનાં પાકા મકાન બનાવી આપવામાં આવે છે. ખાનગી સોસાયટીઓ અને હાઉસીંગબોર્ડનાં આવાસમાં રિડેવલપમેન્ટ સ્કીમમાં નાગરિકો અને ડેવલપર્સ બન્નેને લાભ થતો હોવાથી તે વધુ સફળ થાય છે. પરંતુ સ્લમ પોકેટ ડેવલપ કરી આપવામાં ડેવલપર્સને તત્કાળ અને દેખીતો લાભ મળતો ન હોવાથી તેમને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિ. દ્વારા TDR આપવાની યોજના અમલમાં મુકેલી છે. સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અમુક જ ડેવલપર્સને રસ છે તેમજ તેમને પણ ચોક્કસ વિસ્તાર અને રોડ સાઇડની સ્લમ વસાહતોને ડેવલપ કરવામાં રસ હોય તે સ્વભાવિક છે. પરંતુ મ્યુનિ. સત્તાધીશો શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે વધુને વધુ ડેવલપર્સ આગળ આવે તેવા હેતુથી સ્લમ પોલીસીમાં સુધારા વધારા કરવા સક્રિય વિચારણા કરી રહ્યાં છે.
કયા સ્લમ પોકેટ ડેવલપ થયા
ભીખા દેવાનો વંડો, અમરાઇવાડી, કૈલાશનગર, સાબરમતી, ભીલવાસનાં છાપરા, દાણીલીમડા, સલાટનગરનાં છાપરા, ખોખરા, અબુજી કુવાનાં છાપરા, આંબાવાડી, તલાવડીનાં છાપરા, અમરાઇવાડી, લખુડી તળાવનાં છાપરા, નવરંગપુરા, ભુવાજીનાં છાપરા, ખોખરા, સંજયનગરનાં છાપરા, બાપુનગર, મંગલનાં છાપરા, વાસણા.


