- શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- ભાજપ ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ
- બંને પક્ષો વચ્ચે જમીન વિવાદમાં ઝગડો ચાલી રહ્યો છે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પક્ષના એક નેતાને ભાજપના ધારાસભ્યે પોલીસ મથકમાં જ 10 ગોળી ધરબી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. બંને પક્ષો વચ્ચે જમીન વિવાદમાં ઝગડો ચાલી રહ્યો છે. તે અનુસંધાનમાં પોલીસ મથકમાં જ ભાજપના ધારાસભ્યે ગોળીબાર કરી દીધો હતો. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ મથકમાં ગોળીબારની આ ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા ફરમાવ્યું છે.
એકનાથ શિંદેના નેતૃત્વમાં બનેલી શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ અને કલ્યાણ ઇસ્ટ વિધાનસભ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ વચ્ચે કેટલાક દિવસોથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર કલ્યાણ પૂર્વમાં આવેલી સંપત્તિના માલિકી અધિકારને મુદ્દે ભાજપના ધારાસભ્ય અને શિવસેનાના નેતા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. 31 જાન્યુઆરીએ જ બંને જૂથો વચ્ચે આ વિવાદમાં ઝગડો થયો હતો. તે પછી શુક્રવારે સાંજે બંને પક્ષકારો ઉલ્હાસનગર હિલ લાઇન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકમાં જ બંને પક્ષો વચ્ચે વિવાદ વકર્યો હતો. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે કલ્યાણ શિવસેના એકમના અધ્યક્ષ મહેશ ગાયકવાડ અને તેમના સહયોગીઓ પર ગોળીબાર કરી દીધો હતો. ગોળીબાર કરનારા ભાજપના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. શિવસેના નેતાને છ ગોળી વાગી હતી.
ગોળીબાર કરવાનો પસ્તાવો નથી : ભાજપ ધારાસભ્ય
ગોળીબાર કરી ચૂકેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે ધરપકડ થઈ તે પહેલાં એક સમાચર ચેનલને જણાવ્યું હતું કે તેમના પુત્રની પોલીસ મથકમાં જ મારપીટ થઈ રહી હતી તેવામાં તેઓ શું કરી શકે ? તેથી તેમણે ગોળીબાર કર્યો હતો. ધારાસભ્યે કહ્યું કે,’મેં પોતે ગોળી મારી હતી.મને કોઈ વાતનો પસ્તાવો નથી.’


