- હવે છ દિવસ જ બાકી છે ત્યારે 14,250 વાહનોમાં ફિટનેસ અને પરમિટ પ્રક્રિયા બાકી
- 31 જુલાઈ પછી સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ
- અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીનાં વાહનો છે
સ્કૂલવર્ધીના વાહનોમાં નિયમોનું પાલન કરાવવા માટે હાથ ધરાયેલી ઝુંબેશનો વિરોધ કરીને સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પછી વાહનવ્યવહાર વિભાગ દ્વારા 45 દિવસની સમય મર્યાદા અપાઇ છે.સમયમર્યાદાને સવા મહિનો પૂરો થઈ ગયો છે, ત્યારે અમદાવાદની ત્રણેય આરટીઓમાં હાલ સ્કૂલવર્ધીના 15 હજારમાંથી માત્ર 750 વાહનોમાં જ ફિટનેશ અને પરમિટની પ્રક્રિયા પૂરી થઇ છે. હજી 14,250 વાહનોમાં ફિટનેસ અને પરમિટ બાકી છે.
31મી જુલાઇ સુધીની મુદત છે, ત્યારે કોઇ પણ સંજોગોમાં સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ છે.અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીનાં વાહનો છે. સ્કૂલો શરૂ થઇ તે પૂર્વે રાજકોટ અગ્નિકાંડથી હાહાકાર મચતા વાહનવ્યવહાર વિભાગે સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેશ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરવાની જાહેરાત કરી હતી. આ પછી સ્કૂલો શરૂ થતાં તંત્રની વાહન ડિટેઇનની ઝુંબેશ સામે વિરોધ કરીને સ્કૂલવર્ધી માલિકોએ હડતાલ જાહેર કરી હતી, વાલીઓના પ્રેશર બાદ બે દિવસમાં જ સમાધાન કરીને વિભાગે તેમને 45 દિવસની સમય મર્યાદા આપી હતી. જેને સવા મહિનો થયો છતાં સ્કૂલવર્ધીના અમદાવાદમાં 15 હજારમાંથી માત્ર 750 વાહનોમાં ફિટનેસ અને પરમિટની કામગીરી થઈ છે. રાજ્યમાં 80 હજારમાંથી માત્ર 20 ટકા વાહનોએ જ RTOમાં પાસિંગની કામગીરી કરાવી છે. કેટલાક શહેરોમાં તો આંકડો ડબલ ડિજિટને પણ પાર થયો નથી. હવેો RTO પાસિંગ માટે 6 દિવસનો સમય છે.
વારંવાર સૂચના છતાં સ્કૂલવાન માલિકો સમજતા નથી : સ્કૂલવર્ધી વાહન એસો.
સ્કૂલવર્ધી વાહનોને આરટીઓ પાસિંગ કરાવી લેવા વારંવાર સૂચના આપવા છતાં વાહન ચાલકો સમજતા નથી. 45 દિવસની સમય મર્યાદામાં સારી કામગીરી થાય તો મુદત વધારવા રજૂઆત કરી શકાય, પરંતુ હાલના આંકડા ઓછા છે. જેથી આરટીઓમાં પાસિંગનો આંકડો વધે તે દિશામાં એસોસિએશનના સભ્યો દોડાદાડ કરી રહ્યા છે.
અંદાજે 35થી 40 હજારનો એકસાથે ખર્ચ કરવાનો ભાર પડે છેઃ વાનમાલિકો
સ્કૂલવર્ધી ચાલકોએ કહ્યું કે, વીમા સહિત અન્ય ખર્ચ મળી અંદાજે 35થી 40 હજારનો ખર્ચ એકસાથે કરી શકાય તેમ નથી. જેથી થોડો વધુ સમય આપે તો સારું. બીજી બાજુ એસોસિએશનના સભ્યોએ કહ્યું કે, વીમાનો ખર્ચ સૌથી વધુ છે. જેના માટે હપ્તાની વ્યવસ્થા કરી અપાય છે. જેથી તેનો લાભ લઇને કામગીરી કરાવી લેવી જોઇએ.


