- નક્કર હકીકતો વિધાનસભામાંથી અધિકૃતપણે જાહેર થઈ છે
- મહેસૂલી તંત્રમાં હવે રૂપિયા ચૂકવે ખેડૂત હોવાનું સ્ટેટ્સ- સર્ટી આપવાના બેફામ કૌભાંડ થાય છે
- બંને જિલ્લામાં આવા 46 કેસની તપાસ છેલ્લા એક વર્ષથી પડતર છે
રાજ્યના મહેસૂલી તંત્રમાં, કલેક્ટર કચેરીઓમાં ખેડૂત ખરાઈને તબક્કે કઈ હદે બિનખેડૂત વ્યક્તિને ખેડૂત હોવાનુ પ્રમાણપત્ર આપી દેવાય છે તેની નક્કર હકીકતો વિધાનસભામાંથી અધિકૃતપણે જાહેર થઈ છે. મંગળવારે વિપક્ષના ધારાસભ્યને એક પ્રશ્નના ઉત્તરમાં સરકાર પક્ષેથી લેખિતમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 295ને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવી દેવાયાનો સ્વીકાર કર્યો છે. જે સ્વંય સ્પષ્ટ કરે છે કે મહેસૂલી તંત્રમાં હવે રૂપિયા ચૂકવે ખેડૂત હોવાનું સ્ટેટ્સ- સર્ટી આપવાના બેફામ કૌભાંડ થાય છે. મહેસૂલ વિભાગનો હવાલો સંભાળતા મંત્રીએ જવાબમાં નોંધ્યું છે કે, ગાંધીનગરમાં ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવવાના 94 અને અમદાવાદમાં 201 કેસોની તપાસ પડતર છે. બંને જિલ્લામાં આવા 46 કેસની તપાસ છેલ્લા એક વર્ષથી પડતર છે. જ્યારે 71 કેસો તો બે કે તેથી વધુ વર્ષોથી તપાસને આધીન પેન્ડિંગ રહ્યા છે. ચારેક કેસમાં હાઈકોર્ટ તરફથી મનાઈ હુકમ આપ્યો છે જ્યારે અન્ય પડતર કેસોમાં પક્ષકારોને રૂબરૂ સાંભળીને નિર્ણય કરવા સારૂ નોટિસથી બજવણી કરી સુનવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. વિધાનસભામાં 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં શ્રી સરકાર થયેલી જમીનો પરત કરવા કે અન્ય ખાનગી વ્યક્તિઓના નામે કરવાના હુકમ સબબ વિપક્ષના ધારાસભ્યે પૃચ્છા કરી હતી.


