અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
RCC રોડના ગુણવત્તાના સેમ્પલ ફેઇલ : ૧૨૫ મીટરનો રોડ ફરીથી બનાવવા મંત્રીની સૂચના
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી શહેરમાં આર્ટસ કોલેજ પાસે આશરે 11 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત RCC રોડની કામગીરીમાં મોટા પાયે લોટપાણીને લાકડા થયાનું સામે આવ્યું છે. માત્ર એક મહિના પહેલા જ તૈયાર થયેલા આ રસ્તાના ગુણવત્તાના સેમ્પલ લેબોરેટરી તપાસમાં નાપાસ થતા, હવે આ માર્ગને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાને આ રસ્તાની નબળી ગુણવત્તા અંગે જાણ થતા તેમણે તાત્કાલિક કડક પગલાં લેવા આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીએ પણ સ્વીકાર્યું હતું કે કામગીરીમાં ખામી રહી ગઈ છે. મંત્રીની સૂચના બાદ, હાલ 125 મીટર લાંબો નબળો રોડ તોડીને તેને ફરીથી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મંત્રી કૌશિક વેકરીયાએ કહ્યું કે, આ રોડ નું સેમ્પલ ફેઈલ થતા મારા ધ્યાને આવતાજ મેં જ રોડ તોડવા માટે સૂચના આપી હતી રોડના કામમાં નબળી ગુણવતા રાજય સરકાર નહીં ચલાવે માત્ર આ રોડ નહીં મેં તો આખા જિલ્લામા તમામ માર્ગોના કામો ઉપર સેમ્પલ લેવા સૂચના આપી છે
આ ઘટનાને ગંભીરતાથી લઈને મંત્રીએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી છે કે, સમગ્ર અમરેલી જિલ્લામાં હાલમાં બનેલા તમામ રસ્તાઓના સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે નબળું કામ કરનાર એજન્સીઓને ‘બ્લેક લિસ્ટ’ કરવામાં આવશે.
રોડ તોડવાની આ કામગીરીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયા આપતા પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલીમાં ઠેર ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. એક મહિનો જ થવા છતાં જો રોડ તોડવો પડતો હોય, તો તે સરકારી નાણાંનો વ્યય અને તંત્રની લાપરવાહી સૂચવે છે. હાલમાં એજન્સી દ્વારા પોતાના ખર્ચે ફરીથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ શહેરના અન્ય વિકાસકામોની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.


