- મોડાસાના દેવરાજ ધામ, રાજપુર મંદિર સહિતનાં મંદિરો અને આશ્રમોમાં સવારથી જ ભીડ ઊમટી
- દેવરાજ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી
- હજારો શ્રધ્ધાળુઓએ ધનગીરી મહારાજના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની અરવલ્લી જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પર્વને પગલે મંદિરો અને આશ્રમોમાં શ્રધ્ધાળુઓની સવારથી જ ભીડ ઉમટી પડી હતી. ભજન,ભોજન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને શ્રધ્ધાળુઓએ દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
મોડાસાના બાજકોટ ખાતે આવેલ દેવરાજ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. હજારો શ્રધ્ધાળુઓએ ધનગીરી મહારાજના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. ગુરુ પૂર્ણિમાની ઉજવણીને પગલે દેવરાજ ધામ ખાતે ભજન,ભોજન,ભંડારો તેમજ પાટ પૂજા,વૃક્ષ વિતરણ અને દેવરાજ ધામ સમાજ રત્ન એવોર્ડ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. મોડાસા તાલુકાના રાજપુર રામદેવજી મંદિર ખાતે ગુરુ પૂજન સાથે વડીલ પૂજન અને સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહા આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. ગુરુદેવ શિવગિરી મહારાજનું રાજપુર ગ્રામજનો અને શિષ્યોએ પૂજન અર્ચન કરી,આરતી કરી ધન્યતા અનુભવી હતી. શ્રી રામદેવ સેવા સમિતિ,રાજપુર દ્વારા વડીલોનું પૂજન,આરતી કરી,સન્માન કરવામાં આવ્યું હતુ. મંદિરના અગ્રણી પનાભાઈ પટેલ સહિતના આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોટી ઈસરોલ ખાતે રામદેવ ઉપાસક હિરાદાદાના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે હિરાદાદાનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. જ્યારે આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા અને ગુરુ પૂજન તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
બાયલ ખાતે આવેલ શ્રી પંચદેવ મંદિરમાં મહંત ચંદ્રવદન વ્યાસના બ્રહ્મલીન બાદ પહેલો ગુરુ પૂર્ણિમા મહોત્સવ શ્રધ્ધાભેર ઉજવાયો હતો. મહેશભાઈ વ્યાસના હસ્તે ભગવાન શ્રી રામદેવજી જ્યોતપાઠ,ગુરુગાદી પૂજન તથા આશીર્વાદ,મહાઆરતી અને મહાપ્રસાદનો લ્હાવો શિષ્ય સમુદાયે લઈ ધન્યતા અનુભવી હતી. મોડાસામાં તારાપુર આશ્રમ સાલમપુર,ગાયત્રી આશ્રમ સરડોઈ,ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા,શ્રી કૃષ્ણાશ્રમ બોલુંદરા,ઈટાડી અંબાજી મંદિર સહિતના મંદિરો અને આશ્રમોમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.


