- નવા ઓવરબ્રિજના સર્વિસ રોડમાં ગટરની કુંડીઓ
- ન બનતાં વાહનચાલકોને અકસ્માતની ભીતિ
- કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડનું કામ ગોકળગતીએ ચાલતું હોવાથી શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળે છે
ડાકોર શહેરમાંથી નીકળતા નવા ઓવરબ્રિજની નીચે ઘણા લાંબા સમયથી સર્વિસ રોડ ન બનાવાતાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળે છે. નવા ઓવરબ્રિજના સર્વિસ રોડમાં ગટરની કુંડીઓ ન બનતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. તાજેતરમાં નવો સર્વિસ રોડ બનાવવાની કામગીરી ચાલુ કરાઈ છે ત્યાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની પાઇપલાઇન તોડી નાખતાં પાણી રોડ પર ફરી વળ્યા હતા.
યાત્રાધામ ડાકોરમાં બસ સ્ટેન્ડથી કાઠીયાવાડી હોટલ આણંદ તરફ્ના સર્વિસ રોડ બનાવવામાં ઈઆવી રહ્યો છે. ડાકોર નગરપાલિકાની ગટર લાઈનની 10 કુંડી આવેલી છે, જે કુંડીને તોડી પાડવામાં આવેલ હોવાથી ગટરની અંદરના પાણી રોડ ઉપર વહી રહ્યા છે. જેથી શહેરીજનોમાં રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. વધુમાં ગટરના પાણી પીવાની પાઇપલાઇનમાં મર્જ થવાથી અંદાજિત 10 સોસાયટીના હજારો રહીશોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. નગરપાલિકા આ બાબતે કંઈ જ કરવા તૈયાર નથી. કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડનું કામ ગોકળગતીએ ચાલતું હોવાથી શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળે છે.
ડાકોરમાં સુરતવાળી ધર્મશાળા પાસે તેમજ જય મસીહા સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ઉભરાયા છે તેવું સ્થાનિક લાલાભાઈ તેમજ દક્ષેશભાઈ જણાવે છે. જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે આ બાબતે લાલાભાઈ અને બાબુભાઈ તેમજ અજય ભાઈ સોસાયટીના રહિશોએ જાણાવેલ કે નગરપાલિકા ગટરના ગંદા પાણી બંધ કરવા પાછળ ખર્ચા કરે છે તે વ્યર્થ જઇ રહ્યા છે. જેનો ખર્ચ આખરે તો ડાકોરની પ્રજાના માથે કરવેરા તરીકે આવે છે. ડાકોર નગર પાલિકા તંત્ર જાગે અને યોગ્ય કામગીરી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
આ સમસ્યા બાબતે ડાકોર ના ચીફ્ ઓફિસર વાય. જે. ગણાત્રાનો સંપર્ક કરતાં જણાવેલ કે, હું અને વહિવટદાર બંનેએ સ્થળ તપાસ કરી છે. આર એન્ડ બી ના અધિકારી પાસે આરો ડબલ્યુ ની જગ્યા છે જેથી અમો આમાં કઈ કરી શકતા નથી. આરો ડબલ્યુની જગ્યા મળે ત્યારે જ કામ થાય.
આ બાબતે નાયલ કાર્યપાલક ઇજનેર પ્રતીક સોની સાથે ટેલિફેનીક વાત કરતા જાણવા મળ્યું કે અમારી પાસે સર્વિસ રોડ બનાવવા પુરતી જગ્યા નથી જેથી ડાકોર નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવે જેથી ડાકોરના રહીશોને ભવિષ્યમાં પણ ગટરલાઈનનો પ્રશ્ન ન ઉદ્ભવે.


