- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં દર્દીઓની સંખ્યા વધુ
- અગાઉ વર્ષ 2017માં દર લાખે સાત વ્યક્તિ હતા
- ગુજરાતમાં એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એઈડ્સ નિયંત્રણ માટે કામગીરી કરાય છે
પહેલી ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસ મનાવાય છે. દરેક સમુદાય એચઆઈવી-એઈડ્સ નાબૂદી માટે નેતૃત્ત્વ લે એ આ વર્ષની વિશ્વ એઈડ્સ દિવસની થીમ છે. રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંસ્થાના સર્વે અનુસાર, વર્ષ 2021ની સ્થિતિએ ગુજરાતમાં પ્રત્યેક એક લાખની વસતિમાં ચાર વ્યક્તિ એચઆઈવી સંક્રમિત છે, જે અગાઉ વર્ષ 2017માં દર લાખે સાત વ્યક્તિ હતા. છેલ્લા 13 વર્ષના અરસામાં ગુજરાતમાં એઈડ્સ સંબંધિત મૃત્યુમાં પણ 60 ટકા જેટલો ઘટાડો થયાનો દાવો કરાયો છે. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે અત્યારે 1.15 લાખથી વધુ લોકો એચઆઈવી સંક્રમિત હશે.
સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેશ ગોપાલે ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લાને એચઆઈવીના દર મુજબ ચાર શ્રોણીમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં ઉચ્ચ દર, મધ્યમ દર, ઓછો દર અને ખૂબ ઓછો દરની કેટેગરી છે. ઉચ્ચ દરની કેટેગરીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે. મધ્યમ દરની કેટેગરીમાં આણંદ, બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડનો સમાવેશ થાય છે. ઓછા કેસ હોય તેમાં અમરેલી, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, નવસારી, પંચમહાલ, પાટણ, અરવલ્લી અને મોરબી જ્યારે ખૂબ ઓછા દરની કેટેગરીમાં નર્મદા, પોરબંદર, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મહિસાગર જિલ્લાનો સમાવેશ થાય છે.તબીબોનું કહેવું છે કે, એચઆઈવી-એઈડ્સની બીમારીમાં આધુનિક સારવાર, એન્ટિ રિટ્રો વાયરલ (એઆરવી) ટ્રીટમેન્ટ નિયમિત પણે લેવી જોઈએ, જેનાથી એચઆઈવીની સાથે દરેક વ્યક્તિ તેના કુદરતી આયુષ્ય મુજબનું જીવન જીવી શકે છે. ગુજરાતમાં એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એઈડ્સ નિયંત્રણ માટે કામગીરી કરાય છે, જેમાં દેહવિક્રય સાથે સંકળાયેલી મહિલાઓ, સજાતીય સંબંધ ધરાવતા પુરુષો, સિરિંજથી નશો કરનારા તેમજ માઈગ્રન્ટસ માટે કાઉન્સેલિંગ, વર્તન પરિવર્તન સાહિત્ય વગેરે પૂરું પાડવામાં આવે છે. આ રોગ વિશેની જાણકારી તેમજ જરૂરી સલાહ અને માહિતી માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1097ની સેવા ઉપલબ્ધ છે.
29% મહિલા 36% પુરુષ એઈડ્સ વિશેની માહિતીથી સંપૂર્ણ વાકેફ
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 અનુસાર 29 ટકા મહિલા અને 36 ટકા પુરુષ એચઆઈવી-એઈડ્સ વિશેની માહિતીથી સંપૂર્ણ વાકેફ છે, આ સિવાય બાકીના લોકો પાસે બીમારી વિશે અધકચરી-અધૂરી માહિતી છે.
8.12 લાખ વ્યક્તિનું પરીક્ષણ કરાયું, 3,937 પોઝિટિવ
રાજ્યમાં 2720 આઈસિટીસી, એફઆઈસિટીસી કેન્દ્રો કાર્યરત છે, વર્ષ 2023-24માં (સપ્ટેમ્બર સુધી) 8.12 લાખ વ્યક્તિનું એચઆઈવી પરીક્ષણ કરાયું છે, જે પૈકી 3,937 પોઝિટિવ આવ્યા છે, માતા-પિતાથી બાળકમાં સંક્રમિત થતા એચઆઈવી ચેપની અટકાયત માટે વર્ષ 2023-24માં કુલ 8.27 લાખ સગર્ભા મહિલાનું પરીક્ષણ કરાયું, જે પૈકી 283 મહિલા પોઝિટિવ નોંધાઈ છે.


