- જિલ્લામાં શિક્ષકો સાથે તલાટી, આરોગ્ય સહિતની શાખાના કર્મીઓ જોડાયા
- આગામી તા. 23મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ધરણાનું આયોજન કરાયું
- આહવાનથી જિલ્લાના 5 હજારથી વધુ શિક્ષકોએ બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી
ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહા મંડળ દ્વારા ઓપીએસ સહિતની માંગણીઓ સાથે આંદોલનાત્મક કાર્યક્રમોની તા. 14મીથી શરૂઆત કરાઈ છે. જેમાં કર્મીઓએ તા. 16મીએ કાળા કપડા પહેરી ફરજ નિભાવી હતી.
રાજયના શિક્ષકો, તલાટીઓ, આરોગ્ય કર્મીઓ સહિતનાઓ લાંબા સમયથી ઓપીએસની માંગણી કરી રહ્યા છે. હાલ જયારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સરકારી કર્મીઓએ ફરી પોતાની માંગ પ્રબળ બનાવી છે અને આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા તા. 14 અને 15 ફેબ્રુઆરીના રોજ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનું એલાન કર્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે પ હજારથી વધુ શિક્ષકો, તલાટીઓ અને આરોગ્ય કર્મીઓ જોડાયા હતા. કર્મચારીઓ જ્ઞાન સહાયક, ફીકસ પગાર, કરાર આધારીત ફીકસ પે, 2005 પહેલા ભરતી થયેલા કર્મીઓને જીપીએફ, સીપીએફમાં સરકારના 10 ટકા ફાળા સામે 14 ટકાની માંગ, સાતમા પગાર પંચના બાકી ભથ્થા, વીવીધ એલાઉન્સ, વતન પ્રવાસ, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ, ઘરભાડા ભથ્થુ સહિતની માંગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના દેવાભાઈ સભાડ, ગંભીરસીંહ બોરાણા સહિતનાઓના આહવાનથી જિલ્લાના 5 હજારથી વધુ શિક્ષકોએ બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. જયારે તા. 16મીના રોજ કાળા કપડા પહેરીને શાળામાં ફરજ નીભાવી હતી. આગામી તા. 23મીના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર રાજય કર્મીઓએ ધરણાનું પણ આયોજન પણ કર્યુ છે.


