અંતિમ હિયરીંગમાં સ્થાનિકોએ તંત્ર સામે વ્યકત કરેલો રોષ
જંગલેશ્વરમાં ૭૦ વર્ષથી દબાણ ન દેખાયું ઉદ્યોગપતિઓને રાજી કરવા ખેલાયેલો ખેલ
મહારાજા મનોહરસિંહ જાડેજાએ ૧૯૫૪-૫૬માં ફાળવેલી જમીનમાં હવે તંત્રને દબાણ લાગે છે? તંત્રની નોટીસથી ૪૨૦૦ પરિવારો ઘર વિહોણા થવાનો ભય : ન્યાયીક નિર્ણય લેવા સ્થાનિકોની માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વરમાં તંત્ર દ્વારા ફટકારેલી નોટીસનો પ્રશ્ન ધીમે ધીમે ઉગ્ર બની રહ્યો છે. આજે અંતિમ નોટીસનું હિયરીંગ હતું. જેમાં સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કરી અને પોતાની વ્યથા ઠાલવી હતી.
સ્થાનિકોએ રોસ ઠાલવતા કહ્યું કે, આજી રિવરફ્રન્ટ કે આજી રિ ડેવલોપમેન્ટ માટેની કોઈ વાત જ નથી. ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને ખટાવવા માટેનો ખેલ છે. અમને રાજકોટના રાજા મનોહરસિંહ જાડેજાએ જમીન ફાળવી હતી 70 વર્ષથી અમે અહીં રહીએ છીએ પરંતુ સરકારને અત્યારે જ આ સરકારી જમીન પર દબાણ હોવાનું યાદ આવ્યું છે. અહીં 1358 નહીં પરંતુ 4200 મકાનોના 25000 લોકોનો પ્રશ્ન હોવાનું કહી ન્યાયની માંગણી કરી હતી.
જંગલેશ્વર શેરી નંબર – 3 માં રહેતા આમદભાઇ નાઈએ જણાવ્યું હતુ કે, રાજકોટના રાજા મનોરસિંહ જાડેજા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં 1954 અને 1956 માં જમીન આપવામાં આવી હતી. અમે અહીં 70 વર્ષથી રહીએ છીએ. જોકે સરકારને અત્યારે યાદ આવ્યું છે કે અહીં દબાણ છે. અહીં હાલમાં 1358 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે અને તે અગાઉ 922 મકાન ધારકોને નોટિસ આપવામાં આવેલી છે. જેથી 4200 પરિવારો ઘર વિહોણા થઈ રહ્યા છે. અહીં આજી રી ડેવલોપમેન્ટ માટે જમીન ખાલી કરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ હકીકત એ છે કે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને ખટાવવા માટેનો ખેલ છે. જોકે સરકાર તરફથી અમને ન્યાયની અપેક્ષા છે.
મિલકત ધારકોને આપવામાં આવેલી નોટિસમાં લખાયું છે કે, ટીપી સ્કીમ નં.6 ના એફ. પી. નં. 159 પૈકીમાં ગેરકાયદેસર કબજો મેળવવામાં આવેલો છે. જેથી દંડ વસુલાત કરી જમીન ખુલ્લી શા માટે ન કરાવવી? અને અન્ય કાયદાકીય પગલા શા માટે ન લેવા ? જેમકે સાંભળવા માટે હિયરિંગ રાખવામાં આવ્યું છે. જે સમયે આધાર પુરાવા રજૂ કરવા અને ત્યારબાદ જો સરકારી જમીન ઉપર દબાણ હોવાનું સાબિત થશે તો દંડનો હૂકમ કરી કલમ 202 હેઠળ દબાણ દૂર કરવામાં આવશે.
૨૦૨ મુજબ નોટીસની તૈયારીઓ
નોંધનીય છે કે, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણરૂપ 1358 આસામીઓને કલમ – 61 મૂજબ નોટિસ આપવામાં આવેલી છે. જેમાંથી 390 આસામીઓએ પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા છે. જ્યારે મિલકત અંગેના પોતાના હક્ક દાવાઓ રજૂ ન કરતા 968 આસામીઓને બીજી નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કરેલો છે. જે બાદ 390 મિલકતધારકો એવા છે કે જેઓએ હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી જેથી તેઓને ત્રીજી નોટિસ આપવામાં આવી હતી. જેનું આજે 19 જાન્યુઆરીના હિયરિંગ રાખવામાં આવ્યું હતુ. જેઓને સાંભળ્યા બાદ જે આસામીઓ જમીન પર પોતાનો કાયદેસરનો હક પ્રસ્થાપિત નહીં કરી શકે તેઓને કલમ 202 મૂજબ નોટિસ આપવામાં આવશે.
દબાણ કર્તાઓની બે અરજી રદ કરાઇ
જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે. જેનો મતલબ એ થાય છે કે, જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણ દૂર કરવા બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા હાઇકોર્ટ દ્વારા વહીવટી તંત્રને સાંભળવામાં આવે.


