- તંત્રની અલગ અલગ ટીમ મૂકાઈ છતાં ગંદકી યથાવત
- કોટ વિસ્તારમાં વધુ 19 લોકોને ઝાડા ઉલટીની અસર
- વધતા જતા કેસને લઈ શહેરીજનોમાં ફફડાટ
પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં વધુ 19 ઝાડા-ઉલ્ટીના કેસથી તંત્રએ કોલેરા નિયંત્રણમાં લેવા રાજગઢી ટાંકીનું પાણી બંધ કર્યું છતાં કેસ અંકુશમાં આવ્યા નથી, શહેરમાં ઠંડા પીણાં સહીતની રેકડીઓ બંધ કરાવ્યા બાદ પણ કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે,વિસ્તારમાં તંત્રની અલગ અલગ ટિમો મુકાઈ છતાં ગંદકી યથાવત છે.દિવસેને દિવસે પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં વધતા જતા કેસોને લઇ શહેરીજનોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ઘરોમાં સર્વે હાથ ધરાયો
પાલનપુર શહેરના વોર્ડ નંબર 6ના કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છેલ્લા આઠ દિવસમાં 1200 ઘરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઝાડા-ઉલ્ટીના કેસમાં પાંચ લોકો સિવિલ સારવાર હેઠળ છે અને અત્યાર સુધી કોલેરાના બે પોઝિટિવ કે સામે આવ્યા છે.
પીવાના પાણીમાં કલોરિનની દવા અપાઈ
પાલનપુર શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. આ મામલે છેલ્લા 8 દિવસોમાં આરોગ્ય વિભાગની 50 જેટલી ટીમો દ્વારા 1200 જેટલા ઘરનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ ટીમ દ્વારા દરેક ઘરને પીવાના પાણી ક્લોરિન વાળું આપવા પાલિકાને સૂચના આપવામાં આવેલી છે.

પેટલાદમાં પણ કોલેરાના કેસ વધ્યા
કોલેરાનો કેસ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું છે.આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ પેટલાદ સિવિલના સર્જનને નોટિસ આપી છે .જેમાં સિલવાઈના સૂર્યનગર વિસ્તારના એક દર્દી પેટલાદ સિવિલ ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો અને દર્દીની તબિયત વધુ લથડતા તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવ્યો હતો.દર્દીના લેબોરેટરી રિપોર્ટની વિસંગતતા બાબતે જવાબદાર કર્મચારી-અધિકારી સામે લીધેલ પગલાનો અહેવાલ દિન-રમાં રજૂ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે


