વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત
સાસરીયા પક્ષના જુદા જુદા નિવેદનોથી શંકાનો ઘેરો, રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમથી ખુલશે હકીકત
અગ્ર ગુજરાત, રાજકોટ
વાંકાનેરમાં રહેતી 28 વર્ષીય પરિણિતા રૂપલબેન સરીયાનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. રૂપલબેનના મોત બાદ પિયર પક્ષે સાસરીયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે મૃતદેહને રાજકોટ ખસેડી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રૂપલબેન અવધભાઈ સરીયા (ઉ.વ. 28, રહે. ભરવાડપરા, વાંકાનેર) ગઈકાલે સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. તબિયત બગડતા સાસરીયા પક્ષે તેમને વાંકાનેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું. સાસરીયા પક્ષ દ્વારા પોલીસને આપેલા નિવેદનમાં જણાવાયું હતું કે, પહેલા રૂપલબેનને ઝાડા થયાં હતા અને ત્યારબાદ બ્લડ પ્રેશર વધી જવાથી તેઓ અર્ધબેભાન થયા હતા. જોકે, આ નિવેદનોમાં ફેરફાર થતો જતા પિયર પક્ષને શંકા ગઈ હતી. રૂપલબેનના ભાઈ મુન્નાભાઈ રાણાભાઈ સાટકાએ જણાવ્યું હતું કે, પહેલા તેમને ફોન પર જણાવાયું હતું કે રૂપલબેનને ઝાડા થયા છે, પછી કહેવામાં આવ્યું કે બીપી વધી જવાથી બેભાન થઈ ગયા છે. આ રીતે અલગ અલગ વાતો કરાતાં સંશય વધુ ઘેરો બન્યો હતો.
પિયર પક્ષે વધુમાં આક્ષેપ કર્યો છે કે, રૂપલબેનને સાસરીયા પક્ષ તરફથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેથી તેમને શંકા છે કે, કોઈએ તેમને કંઈક ઝેરી પદાર્થ પીવડાવ્યો હશે અથવા તો ત્રાસથી કંટાળીને રૂપલબેને પોતે જ કંઈક પી લીધું હોય. આ સંજોગોમાં મોત સ્વાભાવિક નથી એવું પિયર પક્ષનું માનવું છે.
આ મામલે પિયર પક્ષની શંકાને ધ્યાનમાં રાખી પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે, જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને ત્યારબાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રૂપલબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા અને તેમને એક નાનો દીકરો પણ છે. આ અચાનક અને શંકાસ્પદ મોતથી પિયર અને સાસરીયા બંને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે જણાવ્યું છે કે, ફોરેન્સિક રિપોર્ટ અને તપાસના આધારે જો કોઈ ગુનાહિત તત્વ સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.


