સમગ્ર રાજ્યમાં કોરોના બાદ નાની વયમાં હાર્ટએટેકનું જોખમ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે ગતરાત્રિના રણુજા મંદિર પાસે રહેતા ધામેચા પરિવારના 10 વર્ષના પુત્રને ઉલટી થયા બાદ બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત નિપજ્યું હતું .ડોક્ટરોએ બાળકનું હાર્ટ એટેક આવવાથી મોત થયાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજકોટની સરકારી હોસ્પિટલમાં વધુ પાંચ લોકો બેભાન અવસ્થામાં આવ્યા હતા. તેઓના પણ હાર્ટએટેક થી મોત થયેલ હોવાનું ડોક્ટરોએ જાહેર કરેલ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રણુજા મંદિર પાસે રહેતા અને ધો.4માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઈ ધામેચા નામનો 10 વર્ષનો માસુમ બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પૂર્વાગ ધામેચા ધો.4માં અભ્યાસ કરતો હતો. પૂર્વાગ ધામેચાને બે દિવસ ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. અને ત્યાં તબીબે ઇન્જેકશન આપી સારવાર આપી હતી. બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો છે.
બીજા બનાવમાં રાજકોટમાં જામનગર રોડ ઉપર રહેતા લિંગરાજ તનુભાઈ બીસી નામના 38 વર્ષના યુવકને હદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી
ત્રીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિર પાછળ રહેતા કુસુમબેન કાંતિભાઈ પીઠવા (ઉ.વ.57) પોતાના ઘરે હતા. ત્યારે મધરાત્રે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતક પ્રોઢાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ચોથા બનાવમાં સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલા યાદવનગરમાં રહેતા રાજુભાઈ કાળુભાઈ કુચાણા નામના 47 વર્ષના પ્રૌઢ રૈયા રોડ ઉપર આવેલી કર્મચારી સોસાયટીમાં મજૂરી કામ માટે ગયા હતા. ત્યારે સાડા દસેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં રાજુભાઈ કુચાણા પાંચ ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
પાંચમા બનાવમાં રાજકોટની ભાગોળે કુવાડવા ગામ પાસે રહેતા જગુભાઈ દાનાભાઈ ચૌહાણ નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી જગુભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જગુભાઈ ચૌહાણ મૂળ અમરેલીના ચીતલ ગામના વતની હતા અને છૂટક મજૂરી કરતા હતા. જગુભાઈ ચૌહાણને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
છઠ્ઠા બનાવમાં ઢેબર રોડ ઉપર આવેલા નેહરુનગરમાં રહેતા સુરેશભાઈ કલુભાઈ ગૌતમ નામના 51 વર્ષના આધેડ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછ મૃતક સુરેશભાઈ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને ત્રણ ભાઈ બે બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.