- જંતુનાશક ઇથિલીન ઓક્સાઇડનું વધુ પ્રમાણ જણાતાં નિર્ણય
- ઇથિલીન ઓક્સાઇડ કૃષિ ઉત્પાદનોને જંતુનાશકોથી બચાવવા માટે વપરાય છે
- સિંગાપોર ફૂડ એજન્સી (એસએફએ) દ્વારા એક નિવેદન બહાર પડાયું
સિંગાપોરે ભારતથી આયાત કરાયેલા એવરેસ્ટ ફિશકરી મસાલા બજારમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે. એવરેસ્ટના ફિશકરી મસાલામાં જંતુનાશક ઇથિલીન ઓક્સાઇડનું વધુ પ્રમાણ જણાયું હોવાના આરોપ સાથે આ નિર્ણય લેવાયો છે. આ અંગે હોંગકોંગના ખાદ્ય સુરક્ષા કેન્દ્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ સિંગાપોરની ઓથોરિટીએ આ પગલું ભર્યું છે. સિંગાપોર ફૂડ એજન્સી (એસએફએ) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે હોંગકોંગ સ્થિત ખાદ્ય સુરક્ષા કેન્દ્રએ ભારતથી આયાત કરાયેલા એવરેસ્ટ ફિશકરી મસાલા ઇથિલીન ઓક્સાઇડના કારણે પાછા ખેંચવા અંગે જાહેરનામું બહાર પાડયું છે. એસએફએએ આયાતકાર એસપી મુથૈયા એન્ડ સન્સ પીટીઇ લિમિટેડને આદેશ કર્યો છે કે તે આ પ્રોડક્ટ બજારમાંથી વ્યાપક ધોરણે પાછી ખેંચવા પહેલ કરે. નોંધનીય છે કે ઇથિલીન ઓક્સાઇડનો સામાન્ય રીતે જંતુનાશક તરીકે ઉપયોગ કરાય છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે. એસએફએએ કહ્યું કે સિંગાપોરના નિયમાનુસાર મસાલાના સ્ટરલાઇઝેશનમાં ઇથિલીન ઓક્સાઇડના ઉપયોગ પર પ્રતિબંધ છતાં એવરેસ્ટના ફિશકરી મસાલામાં તેનું વ્યાપક પ્રમાણ જણાયું છે.
ઇથિલીન ઓક્સાઇડ શરીર માટે નુકસાનકારક
મસાલાની શેલ્ફ લાઇફ વધારવા માટે ઇથિલીન ઓક્સાઇડના મર્યાદિત ઉપયોગની મંજૂરી છે પણ એવરેસ્ટના ફિશકરી મસાલામાં તે વધુ પ્રમાણમાં હોવાનું માલૂમ પડયું હતું, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એસએફએએ એક નિવેદનમાં કહ્યું કે જે લોકોએ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય અને પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતિત હોય તેમણે તત્કાળ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વધુ માહિતી માટે તેઓ જ્યાંથી એવરેસ્ટ ફિશકરી મસાલા ખરીદ્યા હોય ત્યાં સંપર્ક કરી શકે છે.


