- શ્રમિકો પરત ફરતા ખેતરોમાં કૃષિકાર્યોની ચહલપહલ
- મુખ્ય રવિપાકનુ માત્ર 1646 હેક્ટરમા જ વાવેતર નોધાયુ
- ગ્રામ્ય વિસ્તારોમાં પરત ફરી રહ્યા હોઇ ખેતીકાર્યોમાં વેગ વર્તાયો
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામા ચાલુ સિઝનમાં નવેમ્બરના અંત સુધીમાં મુખ્ય રવિપાક પિયત ઘઉં, તમાકુ, શાકભાજી અને રાઇનુ માત્ર 1646 હેક્ટરમા જ વાવેતર નોધાયુ હતું. જોકે પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા તરફના પરપ્રાન્તિય ખેતશ્રામિકોએ દિવાળીની ઉજવણી માટે વતનની વાટ પકડતા વાવેતરમાં મંદી વર્તાઇ હતી. તહેવારો પુર્ણ થતાં પરપ્રાન્તિય ખેતશ્રમિકો સોજીત્રા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પરત ફરી રહ્યા હોઇ ખેતીકાર્યોમાં વેગ વર્તાયો છે.
નહેરોની મર્યાદિત સુવિદ્યા ધરાવતા અંતરિયાળ સોજીત્રા તાલુકામાં ખેડૂતોએ કૃષિકાર્યો માટે વિશેષતઃ વરસાદ કે આંશિક નહેરો આધારિત પિયત ઉપર નિર્ભર રહેવુ પડે છે. ત્યારે ચાલુ શિયાળુ સિઝનના પાકના વાવેતરની શરૂઆતતી નવેમ્બર માસ સુધીમાં માત્ર સોજીત્રા તેમજ આસપાસમા આવેલા લીંબાલી, મઘરોલ, બાલિન્ટા, પલોલ, દેવા તળપદ, મલાતજ, પીપળાવ, ભડકદ, રૂણજ, ખણસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1646 હેક્ટર વિસ્તારમા રવિકૃષિપાકોનુ વાવેતર કરવામા આવ્યુ છે. જેમાં પિયત ઘઉં 778 હેક્ટર, રાઇ 50 હેક્ટર, તમાકુ 126 હેક્ટર, શાકભાજીની 492 હેક્ટર જેટલા મર્યાદિત હેક્ટર વિસ્તારમાં ખેતી થઇ છે. જોકે પ્રતિકૂળ હવામાન, કમોસમી વરસાદ તેમજ દિવાળી મનવવા માટે વતનમાં ગયેલા પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા તરફના પરપ્રાન્તિય શ્રામિકોને લઇને વાવણીકાર્ય ઉપર વિપરીત અસર વર્તાતા વાવેતર હેક્ટર વિસ્તારમાં ઘટાડો સર્જાયો હતો. ત્યારે બીજી તરફ પરપ્રાન્તિય શ્રમિકો દિવાળીની ઉજવણી પુર્ણ કરી સોજીત્રા તાલુકામા તબક્કાવાર પરત ફરવા આંશિક ઉઘાડની સ્થિતિને લઇને વાવણીકાર્યનો પુનઃ પ્રારંભ થયો છે. પરિણામે સોજીત્રા પંથકના ખેતર-સીમ વિસ્તારોમા કૃષિકાર્યોને લઇને ખેડૂત પરિવારો, ખેત શ્રામિકોની ચહલપહલ વર્તાઇ રહી હોઇ આગામી દિવસોમા વાવેતર વિસ્તારમાં વધારો સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે.


