- ઈઝરાયેલ યુદ્ધનું સૌથી હચમચાવી દેતું સત્ય
- બે જોડિયા બાળકોને બચાવવા માતાપિતાએ આપ્યું બલિદાન
- ઈઝરાયેલી દળોએ બચાવ્યા નાના બાળકોને
7 ઓક્ટોબરથી હમાસના ભયંકર હુમલા બાદ ઈઝરાયેલ અને હમાસની વચ્ચે હાલમાં ભયાનક જંગ ચાલી રહ્યો છે. જેમાં ખરો ભોગ બંને પક્ષે રહેલા નિર્દોષ નાગરિકોનો લેવાઈ રહ્યો છે. હાલ ઈઝરાયેલના હુમલામાં અનેક ગાઝાવાસીઓને પોતાના ઘરોમાં સંતાઈને રહેવું પડી રહ્યું છે. પરંતુ આની પહેલા હુમલાની પ્રથમ લહેરમાં હમાસ આતંકીઓએ જે કાળો કેર વર્તાવ્યો છે તેનો હચમચાવી નાખતો એક કિસ્સો આ સમાચારમાં આપ વાંચી શકો છો.
બહુ કરૂણ દૃશ્ય હશે
હકીકતે એક ઈઝરાયેલી કપલે પહેલા હમાસના આતંકીઓ સામે જીવસટોસટની લડાઈ લડી. આતંકીઓને ખૂબ હંફાવ્યા પરંતુ આખરે આતંકીઓ જ્યારે હાવી થવા લાગ્યા ત્યારે આ માતાપિતાને પોતાના માત્ર 10 જ મહિનાના નાના જોડિયા બાળકોની ચિંતા સતાવવા લાગી. તેમને પોતાની પરવાહ નહોતી. પણ તેમણે પોતાના બાળકોને એવી જગ્યાએ સંતાડ્યા કે જ્યાંથી આતંકીઓ પણ તેમને શોધી ન શક્યા. 12 કલાકે ઈઝરાયેલી દળોએ આ કપલના બાળકોને બચાવ્યા હતા. પરંતુ તેની પહેલા આ માતાપિતા હમાસના હાથે કુરબાન થઈ ચૂક્યા હતા.
ઈઝરાયેલમાં સામાન્ય નાગરિકોની દિલધડક દાસ્તાનો સામે આવી રહી છે. એક કપલે પહેલા પોતાના દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી હતી અને આતંકીઓને હંફાવ્યા હતા પરંતુ છેલ્લે જ્યારે જીતવાનું અસંભવ લાગવા માંડ્યું ત્યારે તેમણે જીવનની છેલ્લી પળ સુધી પોતાના માતાપિતા હોવાની ફરજ અદા કરી હતી અને મોતને વહાલું કરી પોતાના સંતાનોને નવજીવન બક્ષ્યું હતું.
10 મહિનાના જોડિયા બાળકોને બચાવવા આપ્યું બલિદાન
ગાઝાના Kfar એરિયામાં રહેતા Itai and Hadar Berdichevsky નામના કપલને 10 મહિનાના બે જોડિયા બાળકો હતા. તેઓ શાંતિથી ત્યાં રહેતા હતા. યુદ્ધ શરુ થતા હમાસના આતંકીઓ Itai and Hadar Berdichevskyના ઘરે ઘૂસી તેમના પર હુમલો કર્યો હતો. શરુમાં આ કપલે આતંકીઓનો મુકાબલો કર્યો હતો, પરંતુ તેઓ ફાવી શક્યા નહોતા. જો કે તેમને પોતાનું મોત નિશ્ચિત લાગવા માંડતા આખરે તેમણે બન્નેએ મરતાં પહેલા તેમના 10 મહિનાના બાળકોને શેલ્ટરમાં છુપાવી દીધા હતા તેથી તેમની પર આતંકીઓની નજર પડી નહોતી અને આ કપલના 10 મહિનાના બાળકો બચી ગયા હતા. નહીંતર આ નાના બાળકો પણ આતંકીઓની ક્રૂરતાનો ભોગ બન્યા હોત.
12 કલાક બાદ ઈઝરાયલી દળોએ બચાવ્યાં
આતંકીઓ આ માતાપિતાની હત્યા બાદ ફરાર થઈ ગયા હતા ત્યારે તેમના બાળકો શેલ્ટરમાં જ હતા. છેવટે ઈઝરાયલી દળો દ્વારા આ બાળકોને બચાવી લેવાયા હતા. સાયપ્રસ દેશના ડેપ્યુટી એમ્બેસેડર રોતે સુગેવે કહ્યું કે જરા કલ્પના કરો કે કેવો આતંક હશે. આતંકીઓએ ઘરમાં ઘુસીને બન્નેની હત્યા કરી અને મરતા પહેલા જોડિયા બાળકોને સંતાડી દીધા. આ ઘટના ખરેખર દરેકના આંખમાં આંસુ લાવી દેનારી છે. હવે આ બંને બાળકોએ હજુ પૂરી દુનિયા જોઈ પણ નથી પરંતુ તે નાની ઉંમરે જ અનાથ થઈ ગયા છે અને જે માતાપિતાએ બાળકો સાથે જીવન જીવવાના સ્વપ્નો જોયા હતા તે બલિદાન પામી ચૂક્યા છે. માનવતા અને આતંક વચ્ચેનો આ જંગ આખરે કેટલા પરિવારોનો માળો વિખેરશે એ તો હવે આગામી સમય જ કહી શકે છે.