- પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા
- અત્યાર સુધી ઘો.12 પાસ પર લેવાતી હતી પરીક્ષા
- તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે
રાજ્યમાં તલાટીની પરિક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત થયુ છે. જેમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે. અત્યાર સુધી ઘો.12 પાસ પર પરીક્ષા લેવાતી હતી. તથા તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે.
તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે
તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.
કામગીરી:
ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.
વિવાદો:
ગ્રામ પંચાયત મંત્રીનો સંવર્ગ અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલો હોય છે. સરકાર દ્વારા મહેસૂલી તલાટીઓની અલગથી ભરતી કરાતાં આ વિવાદો વધેલ છે. ગ્રામ પંચાયત મંત્રી (તલાટી-કમ-મંત્રી) સંવર્ગના કર્મચારીઓ દ્વારા વારંવાર મહેસૂલી તલાટી સંવર્ગનો વિરોધ દર્શાવી, સરકારની કામગીરી નહીં કરવા ચીમકીઓ આપવામાં આવે છે. પંચાયત મંત્રીઓ દ્વારા થોડા સમય પહેલા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવાની રાજ્યવ્યાપી હડતાલ કરવામાં આવેલ હતી. જેના પગલે ખેડૂતો તથા ગ્રામ્ય લોકોને ખૂબ જ હેરાનગતિ થઈ હોવાનું મનાય છે.


