- દ્વારકાધીશના દર્શન બાદ અબજોના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
- રાજકોટમાં રોડ-શો, જાહેરસભા : અધિકારીઓ દ્વારા તડામાર તૈયારી
- વડાપ્રધાનનો સૌરાષ્ટ્રમાં બે દિવસનો કાર્યક્રમ ફાયનલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે
લાંબા સમયની અટકળ બાદ અંતે વડાપ્રધાનનો રાજકોટ-દ્વારકાનો કાર્યક્રમ ફાયનલ થયો છે. આગામી 25મીએ વડાપ્રધાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મેડિકલ સારવારની ગિફ્ટ આપનાર છે. રાજ્યની એકમાત્ર ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ), જનાના અને રાજકોટના નવા રેસકોર્ષ એટલે કે અટલ સરોવરનું લોકાર્પણ કરનાર છે.
વડાપ્રધાનનો સૌરાષ્ટ્રમાં બે દિવસનો કાર્યક્રમ ફાયનલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અગાઉ વડાપ્રધાન રરમીએ દ્વારકામાં સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરનાર હતા અને તેની તૈયારી પણ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનનો રરમીનો કાર્યક્રમ બે દિવસ પાછો ઠેલાઈ 24મીનો થઈ ગયો છે અને વડાપ્રધાન 24મીના બપોર પછી દ્વારકા આવી પહોચશે અને દ્રારકા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે, તા. રપના સવારના વડાપ્રધાન સૌપ્રથમ દ્વારકાધીશના દર્શન કરી રૂ.1000 કરોડના ખર્ચે દ્વારકાના ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2.75 કિે.મીના ઐતિહાસિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી રાજકોટ આવશે. રાજકોટમાં બપોરેના સમયે ખંઢેરી પાસે 201 એકરમાં રૂ.1195 કરોડના ખર્ચે સાકાર થતી એમ્સમાં 250 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરનાર છે.
ત્યારબાદ રાજકોટમાં રૂ.100 કરોડના ખર્ચે તૈયાર થયેલી 150 વર્ષ જૂની અને રાજયની સૌ પ્રથમ 11 માળની જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરનાર છે. 11 માળની અલાયદી હોસ્પિટલનું વડાપ્રધાન રૂબરૂ નિરીક્ષણ કરે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત સ્માર્ટ સિટી રાજકોટમાં 136 કરોડના ખર્ચે બનેલ અટલ સરોવરનું પણ લોકાર્પણ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટમાં વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કિ થતાં જ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હજૂ વડાપ્રધાનનો મિનીટ ટુ મિનીટ કાર્યક્રમ આવ્યો નથી પરતું રેસકોર્ષ મેદાન કે એમ્સ ખાતે વડાપ્રધાનની જાહેરસભા અને રાજકોટમાં રોડ-શો કરવામાં આવે તેવી પણ અટકળો ચાલી રહી છે.
PMએ જે ખાતમુહૂર્ત કર્યા એ પ્રોજેક્ટનું તેમના હસ્તે ઉદ્ઘાટન
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અબજો રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનુ વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું હતું. તે દ્વારકાના સિગ્નેચર બ્રીજ અને રાજકોટની એમ્સનું વચ્યુઅલથી ભૂમિપૂજન કર્યું હતું. તે પ્રોજેક્ટ તૈયાર થઈ જતા હવે વડાપ્રધાનના હસ્તે ખૂલ્લા મુકવામાં આવનાર છે.


