બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પર્થ ટેસ્ટની બીજી ઈનિંગ સિવાય ટીમ ઈન્ડિયાની બેટિંગ અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. આ સિરીઝમાં ટોપ ઓર્ડરે ઘણી નિરાશ કરી છે. વિરાટ કોહલીએ ભલે આ સિરીઝમાં સદી ફટકારી હોય પરંતુ તેનું ફોર્મ આ સિરીઝમાં કંઈ ખાસ રહ્યું નથી. એડિલેડ અને ગાબા બંને ટેસ્ટ મેચોમાં કોહલીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોહલીના ખરાબ ફોર્મથી હવે ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધી ગયું છે. હવે મેલબોર્ન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં રોહિતે વિરાટના ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે.
કોહલીને મળ્યો રોહિતનો સાથ
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. હવે સિરીઝની ચોથી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. આ પહેલા કેપ્ટન રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે, જેમાં કેપ્ટનને વિરાટના ફોર્મ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં રોહિતે કહ્યું, “તે આધુનિક સમયનો મહાન ખેલાડી છે અને જાણે છે કે કેવી રીતે રન બનાવવા. તેઓ પોતાનો રસ્તો જાતે શોધી લેશે.” તેનો અર્થ એ કે રોહિતને વિશ્વાસ છે કે કોહલી ટૂંક સમયમાં તેની શાનદાર લય પાછી મેળવી લેશે. બીજી તરફ ચાહકો પણ ઇચ્છે છે કે કોહલી ફરી એકવાર સારી ઇનિંગ રમે.
આ સિરીઝમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. જેની પાંચ ઇનિંગ્સમાં કોહલીના બેટમાંથી માત્ર 126 રન જ આવ્યા છે. જેમાં એક સદી પણ સામેલ છે, જે તેણે પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં ફટકારી હતી. કોહલીએ આ સિરીઝમાં 5, 100*, 7, 11, 3 રન બનાવ્યા છે. હવે ફરી એકવાર વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર મેલબોર્ન ટેસ્ટમાં વિરાટ કોહલી પર ટકેલી છે. આ સમયગાળા દરમિયાન કોહલીનું પ્રદર્શન કેવું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.


