ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે, આ વખતે રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં મુશ્કેલીનો સામનો કરવાનો છે. પરંતુ ફેન્સને શુભમન ગિલની કેપ્ટનશિપમાં યુવા ફેન્સને ઘણી આશા છે.
5 ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ભારતીય ટીમ અને ઈન્ડિયા એ ટીમ વચ્ચે ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રમાઈ રહી છે. જેમાં પહેલા દિવસે શુભમન ગિલ, કેએલ રાહુલ અને બોલિંગમાં શાર્દુલ ઠાકુરે ધૂમ મચાવી. ત્યારે બીજા દિવસે સરફરાઝ ખાને ધમાકેદાર બેટિંગ કરીને ઈંગ્લેન્ડની ધરતી પર સદી ફટકારી.
ઈંગ્લેન્ડમાં સરફરાઝ ખાને ફટકારી સદી
ઈન્ડિયા એ તરફથી રમતાં સરફરાઝ ખાને ટીમ ઈન્ડિયાના બોલરોને હેરાન કર્યા હતા. બીજા દિવસે સરફરાઝે માત્ર 76 બોલમાં 101 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન સરફરાઝે 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અંતે સરફરાઝે રિટાયર આઉટ થયો જેથી ટીમના બાકીના ખેલાડીઓને બેટિંગ કરવાની તક મળી શકે.
સરફરાઝ ખાન સિવાય ઈશાન કિશને 45 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરે 19 રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈન્ડિયા એએ 6 વિકેટ ગુમાવ્યા બાદ 299 રન બનાવી લીધા હતા. આ પહેલા ભારતે પ્રથમ બેટિંગ કરતી વખતે 459 રન બનાવ્યા હતા.
સરફરાઝને પહેલી ટેસ્ટમાં મળશે તક!
ઈંગ્લેન્ડમાં સરફરાઝ ખાન શાનદાર બેટિંગ કરી રહ્યો છે. આ પહેલા ઈન્ડિયા એ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે રમાયેલી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં સરફરાઝે શાનદાર બેટિંગ કરી હતી અને 92 રન બનાવ્યા હતા. આવામાં હવે સરફરાઝને 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે, પરંતુ સરફરાઝને ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની મુખ્ય ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તે ઈન્ડિયા એ તરફથી રમવા માટે ઈંગ્લેન્ડ આવ્યો છે.
20 જૂનથી થશે સિરીઝની શરુઆત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની શરૂ થવા જઈ રહી છે. સિરીઝની પહેલી મેચ લીડ્સમાં રમાશે. આ સિરીઝ ઓગસ્ટ સુધી ચાલવાની છે, જેમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.