- રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં વાપસી
- બીજી ટેસ્ટ મેચમાં સામેલ કરાયેલા સૌરભ કુમારને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરાયો
- આ પહેલીવાર નથી જ્યારે સૌરભ કુમારને રમ્યા વિના ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોય
BCCIએ 10 ફેબ્રુઆરીએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. બાકીની 3 મેચ માટે આ ટીમની પસંદગી કરવામાં આવી છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ફરી એકવાર ત્રીજી ટેસ્ટમાંથી ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યા છે. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં સામેલ કરાયેલા સૌરભ કુમારને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં, વિશાખાપટ્ટનમ ટેસ્ટ માટે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ સૌરભ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. આ પહેલીવાર નથી જ્યારે સૌરભ કુમારને રમ્યા વિના ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોય. આ પહેલા સૌરભ કુમાર સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું. જ્યારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.
શ્રીલંકા સામેની ટીમમાં પણ સામેલ હતો સૌરભ કુમાર
ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલા સૌરભ કુમારને પણ શ્રીલંકા સામેની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખરેખર, શ્રીલંકાએ 2022માં ભારતનો પ્રવાસ કર્યો હતો. તે સમયે સૌરભ કુમારનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ એકપણ મેચ રમ્યા વિના તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર તેની સાથે કંઈક આવું જ જોવા મળ્યું. જ્યારે તેને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ એકપણ ટેસ્ટ રમ્યા વિના તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. 30 વર્ષીય સૌરભ કુમાર ઉત્તર પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
રવિન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં આવ્યો હતો સૌરભ કુમાર
હૈદરાબાદ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયા બાદ BCCIએ સૌરભ કુમારને રિપ્લેસમેન્ટ ટીમમાં સામેલ કર્યો હતો. જે બાદ એવી ધારણા હતી કે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં જાડેજાની જગ્યાએ સૌરભ કુમારને રમાડવામાં આવશે, પરંતુ તેના સ્થાને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ 106 રને જીતી લીધી હતી. આ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે બાકીની મેચો માટે સૌરભ કુમારને ટીમમાં સામેલ કરી શકાય છે, પરંતુ જ્યારે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી ત્યારે તેમાં સૌરભ કુમારનું નામ સામેલ નહોતું.
આવી છે સૌરભ કુમારની કારકિર્દી
સૌરભ કુમાર ઉત્તર પ્રદેશ માટે સ્પિન ઓલરાઉન્ડર તરીકે રમે છે. બોલિંગ અને બેટિંગમાં સૌરભના આંકડા અદ્દભૂત છે. જો સૌરભ કુમારની બોલિંગની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 68 ફર્સ્ટ ક્લાસ મેચમાં 290 વિકેટ ઝડપી છે. બેટથી પણ તેણે 27.11ની એવરેજથી 2061 રન બનાવ્યા છે. જેમાં તેના નામે 2 સદી અને 12 અડધી સદી છે. આ સિવાય સૌરભ કુમારે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી અને ઇંગ્લેન્ડ લાયન્સ સામે પ્રથમ ઇનિંગમાં 77 રન બનાવ્યા હતા.


