IPL 2024માં કેકેઆરને ચેમ્પિયન બનાવ્યું. ભારતીય ટીમ તરફથી વનડે ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન. ઘરેલું ક્રિકેટમાં સતત રનનો વરસાદ. આઈપીએલ 2025માં તેના બેટથી જોરદાર રન બન્યા. શ્રેયસ ઐયરે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે બધું જ કર્યું, જે તે કરી શકતો હતો.
પરંતુ, આટલું કરવા છતાં તેને પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે શ્રેયસ ઐયરને ઈગ્નોર કરવામાં આવ્યો. રિપોર્ટ્સ એવા સામે આવ્યા હતા કે શ્રેયસ ઐયરના નામ વિશે વધુ ચર્ચા થઈ નથી. આ દરમિયાન ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ શ્રેયર ઐયરની ઈંગ્લેન્ડ પ્રવાસ માટે અવગણના કરવા બદલ સિલેક્ટર્સની ટીકા કરી છે.
શ્રેયસ ઐયરને ઈગ્નોર કરવા પર ગુસ્સે થયો સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીએ મીડિયા સાથે વાત કરતી વખતે શ્રેયસ ઐયરને ઈગ્નોર કરવા બદલ નારાજગી વ્યક્ત કરી. તેમને કહ્યું કે “શ્રેયસ ઐયર છેલ્લા એક વર્ષથી શાનદાર ક્રિકેટ રમી રહ્યો છે અને તેને ઈંગ્લેન્ડ માટે કોઈપણ કિંમતે પસંદ કરાયેલી ટીમમાં હોવો જોઈતો હતો. છેલ્લું એક વર્ષ તેના માટે અદ્ભુત રહ્યું છે.
શ્રેયસ ઐયર જેવા સારા ખેલાડીને બહાર ન બેસાડવો જોઈએ. તે હાલમાં દબાણ હેઠળ રન બનાવી રહ્યો છે અને જવાબદારીઓ લઈ રહ્યો છે. આ સાથે તે શોર્ટ બોલ પણ સારી રીતે રમી રહ્યો છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટ અલગ હોય છે, પરંતુ હું તેને આ સિરીઝમાં રમતા જોવા માગતો હતો.”
‘બુમરાહ બનશે ટ્રમ્પ કાર્ડ’: સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીએ કહ્યું કે જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. તેમને કહ્યું કે “જસપ્રીત બુમરાહ તમારો સૌથી મોટો ટ્રમ્પ કાર્ડ હશે. પરંતુ તમારે સમજવું પડશે કે તમે તેને સતત બોલિંગ કરાવી શકતા નથી. શુભમન ગિલે આ ધ્યાનમાં રાખવું પડશે. બુમરાહનો ઉપયોગ તમારે વિકેટ લેવા માટે કરવો પડશે. એક દિવસમાં તેના પાસે 12 ઓવરથી વધુ બોલિંગ કરાવવી ન જોઈએ. અન્ય બોલરોને આગળ આવવા દો. જો તમે બુમરાહને હેન્ડલ કરવામાં સફળ થશો અને તેનો વિકેટ લેનારા બોલર તરીકે ઉપયોગ કરશો, તો તમારી જીતની સારી તકો રહેશે.”