ભારતીય બેટિંગ લાઇનઅપ પત્તાના મહેલની જેમ 201 રનમાં ધરાશાયી થયા બાદ, ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને કોચ અનિલ કુંબલેએ ટીમની રણનીતિ પર આકરા પ્રહારો કર્યા છે. કુંબલેએ ખુલાસો કર્યો છે કે બેટ્સમેનોની ધીરજ અને યોગ્ય ટેકનિકના અભાવે ભારત આ સ્થિતિમાં મુકાયું છે.
ઘરઆંગણે ‘ક્લીન સ્વીપ’નો ખતરો
આ નિરાશાજનક પ્રદર્શન જોઈને અનિલ કુંબલેએ ‘જીઓસ્ટાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે ભારતની બેટિંગ અત્યંત નબળી રહી. ખેલાડીઓમાં ટેસ્ટ ક્રિકેટ માટે જરૂરી જુસ્સો (Grittiness) અને સંયમનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો.કુંબલેએ વધુમાં ઉમેર્યું કે, “દક્ષિણ આફ્રિકા તરફથી કેટલાક સારા બોલ ફેંકવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય બેટ્સમેનો મુશ્કેલ સ્પેલનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર નહોતા. એવું લાગતું હતું કે તેઓ લક્ષ્યનો પીછો કરવાની ઉતાવળમાં છે, જે ટેસ્ટ ક્રિકેટમાં અવાસ્તવિક છે. આટલો મોટો સ્કોર ધીરે-ધીરે અને ધીરજપૂર્વક જ બનાવી શકાય છે, પરંતુ ભારતે તેવો જુસ્સો દર્શાવ્યો નહીં.
ડેલ સ્ટેન પણ આફ્રિકાના પ્રદર્શનથી પ્રભાવિત
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પણ મેચની પરિસ્થિતિ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય ધરતી પર સતત ત્રણ દિવસ સુધી કોઈ વિદેશી ટીમનું પ્રભુત્વ રહે તે ખૂબ જ દુર્લભ બાબત છે. સ્ટેનના મતે, ગુવાહાટીમાં પ્રોટીયાઝ ટીમની રણનીતિ અને તેનું અમલીકરણ (Execution) ભારતીય ટીમ પર ભારે પડ્યું છે
માર્કો જેન્સનનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે માર્કો જેન્સન સુપરહીરો સાબિત થયો છે પ્રથમ ઇનિંગમાં 288 રનની લીડ મેળવ્યા બાદ, દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસના અંતે પોતાની બીજી ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વિના 26 રન બનાવી લીધા છે. આ સાથે જ તેમની કુલ લીડ હવે 314 રન પર પહોંચી ગઈ છે, જે ભારત માટે મેચ બચાવવી લગભગ અશક્ય બનાવી રહી છે.


