- સૂર્યાકુમાર યાદવે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને પાછળ છોડ્યા
- સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સૂર્ય ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’
- સૂર્યાકુમાર યાદવે 4 વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ જીત્યો
T20 સિરીઝની ત્રીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 106 રનથી હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં તોફાની સદી ફટકારીને જીતનો હિરો રહ્યો હતો. સૂર્યાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનો રેકોર્ડ તોડ્યો હતો. જોહાનિસબર્ગમાં રમવામાં આવેલી મેચમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે આ સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી.
સૂર્યકુમાર યાદવે ખાસ સિદ્ધિ હાંસલ કરી
વાસ્તવમાં, સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જીતવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ મામલે રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા સહિતના તમામ દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. સૂર્યકુમાર યાદવે આ ટાઇટલ 4 વખત જીત્યું છે. તે જ સમયે, રોહિત અને હાર્દિક પંડ્યાએ આ એવોર્ડ બે વાર જીત્યો છે. ભુવનેશ્વરે આ એવોર્ડ 3 વાર જીત્યો છે. આ યાદીમાં પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. જેણે T20માં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ 7 વખત જીત્યો છે.
છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતની જીત
ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા બેટિંગ પ્રથમ 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે કપ્તાની ઈનિંગ રમતા 56 બોલમાં સદી ફટકારી હતી. સૂર્યાએ આ ઇનિંગ્સમાં 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. ઓપનર યશાસવી જેસ્વાલે 41 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ટાર્ગેટનો પીછો કરતાં, સાઉથ આફ્રિકાની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે તેના જન્મદિવસ પર 5 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સાથે ભારતે 106 રનથી એકતરફી જીત મેળવી હતી.
સિરીઝ 1-1થી ડ્રો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવામાં આવેલી પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી, સાઉથ આફ્રિકાએ બીજી મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી. વરસાદને કારણે આ મેચને પણ અસર થઈ હતી. આ પછી, ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ 106 રનનાં માર્જીનથી જીતી હતી. આ સાથે 3 મેચની T20 સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી.


