- ભારત સામે કેનેડાએ ફરી ઝેર ઓક્યું
- કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપના નવા આક્ષેપ કર્યા
- ભારતે આક્ષેપ સંદર્ભમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી
ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં આવેલી કડવાશ ખતમ થવાનું નામ નથી લઇ રહી. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તંગદીલી વચ્ચે કેનેડાએ ફરી એકવાર ઝેર ઓક્યું છે. પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાના પાયાવિહોણા આક્ષેપ કર્યાના મહીનાઓ પછી કેનેડાએ નવેસરથી ભારતને બદનામ કરવાની ચાલ ચાલી છે.
કેનેડાએ હવે ભારત વિદેશી ખતરો હોવાનું જણાવીને કહ્યું છે કે નવી દિલ્હી સંભવિતરૂપે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે. ગ્લોબલ ન્યૂઝે આપેલા અહેવાલ મુજબ કેનેડાની સુરક્ષા સેવાના ગોપનીય અહેવાલમાં આ મુજબ આક્ષેપ કરવામાં આવ્યા છે. ભારત સરકારે હજી કેનેડાના આ નવા આક્ષેપ સંદર્ભમાં કોઇ પ્રતિક્રીયા આપી નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કેનેડાની સંસદની અંદર સંસદમાં આરોપ લગાવ્યા હતા કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાના નક્કર પુરાવા છે. પરંતુ ભારતે જ્યારે કેનેડાને તે પુરાવા આપવા જણાવ્યું તો કેનેડા આઘુપાછું થવા લાગ્યું હતું. ભારતે તે સમયે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા હતા. આ પ્રકરણ પછી બંને દેશો વચ્ચે સંબંધો વણસવા લાગ્યા હતા. હવે કેનેડાની સુરક્ષા એજન્સીએ ચૂંટણીમાં સંભવિત હસ્તક્ષેપના આક્ષેપ કર્યા છે.
ગ્લોબલ ન્યૂઝના જણાવ્યા મુજબ ઓક્ટોબર 2022માં ‘ વિદેશી હસ્તક્ષેપ અને ચૂંટણી : એક રાષ્ટ્રીય સુરક્ષા સમીક્ષા’ શીર્ષક હેઠળ ગોપનીય અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. તે અહેવાલમાં ભારતને ખતરો જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે વિદેશી હસ્તક્ષેપ કેનેડાની લોકશાહીને નબળી કરી શકે છે. વિદેશી હત્યક્ષેપ પરંપરાગત રાજદ્વારી નીતિ કરતાં અલગ હોય છે, કારણ કે તેમાં જાહેર કથાઓ અને નીતિનિર્માણને પ્રભાવિત કરવા માટે ગોપનીયતા અને દગાનો ઉપયોગ થતો હોય છે.


