વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલ અનામત ધરાવનારા વેનેઝૂએલા પરના અમેરિકાના પ્રતિબંધો હળવા થાય તેના કારણે ભારતને ફાયદો થઈ શકે છે
અમેરિકાએ વેનેઝૂએલા પર પ્રતિબંધો હળવા કરવાનું શરૂ કર્યું છે તેના કારણે વિશ્વની ક્રૂડ ઓઈલની માર્કેટ પર હકારાત્મક અસર થઈ શકે છે. ખાસ કરીને ભારતની રિફાઇનરીઓને કાચો માલ મેળવવાનો વધુ એક સ્રોત ઊભો થઈ શકે છે. તેનું કારણ એ છે કે વેનેઝૂએલા દૂર છે, તેમ છતાં ભારતે ત્યાંથી ક્રૂડ મગાવવાનું શરૂ કર્યું હતું. દૂર પડે પરંતુ ગલ્ફના દેશો કરતાં વિકલ્પ ઊભો થાય તે ભારત માટે જરૂરી હતું. અમેરિકાએ જુદા કારણોસર વેનેઝૂએલા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા, પણ તેના કારણે ભારત જેવા ઘણા દેશોને અસર થઈ હતી. સૌથી વધારે અસર ક્રૂડ માર્કેટમાં થઈ હતી, કેમ કે બજારમાં એક સ્રોત ઓછો થાય એટલે અરબ દેશો અને રશિયાને ફાવતું આવ્યું હતું.
કેરેબિયન રાષ્ટ્રો તરીકે ઓળખાતા નાના નાના રાષ્ટ્રો સાથે અમેરિકાના સંબંધો સારા નથી રહ્યા, કેમ કે ત્યાં કાંતો સામ્યવાદી સરકારો આવી છે અથવા આપખુદ શાસકો આવતા રહ્યા છે. બીજું કે વાયા મેક્સિકોથી ઘૂસણખોરી થાય ત્યારે મેક્સિકો પહેલાં ગ્લાટેમાલાથી માંડીને અનેક નાના રાષ્ટ્રો સુધી વિશ્વભરના લોકો પહોંચ્યા હોય છે. એ ઇમિગ્રેશન રોકવા માટેના પ્રયાસોના ભાગરૂપે પણ આ સરકારો સાથે સંકલનની જરૂર હોવાથી અધિકારીઓ વાતચીત કરતા રહેતા હોય છે. હાલના સમયમાં તે પ્રક્રિયા આગળ વધી છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ગેરકાયદે ઇમિગ્રેશનનો મુદ્દો લઈને જ ફરી મેદાનમાં આવ્યા છે.
એ સંદર્ભમાં વેનેઝૂએલા પરના આર્થિક પ્રતિબંધોએ અમેરિકાએ હળવા કર્યા છે. વેનેઝૂએલાની આવકનો એક માત્ર સ્રોત ખનીજ તેલ છે. તે પણ બંધ થયો ત્યારે આર્થિક રીતે તે દેવાળું કાઢે તે સ્થિતિમાં આવી ગયો હતો. હવે ફરીથી તે ક્રૂડની નિકાસ કરી શકશે ત્યારે ભારત તેનો લાભ ચોક્કસ ઉઠાવશે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોથી એક નીતિ નક્કી રાખી છે કે સસ્તુ ક્રૂડ જ્યાંથી મળે ત્યાંથી લેવું જેથી માત્ર ગલ્ફના દેશો પર નિર્ભર ના રહેવું પડે. ભારતને 2019થી ઈરાનથી ક્રૂડ લેવાનું બંધ કરવું પડ્યું છે, કેમ કે અમેરિકાએ ત્યાં પ્રતિબંધો મૂક્યા છે. જોકે રશિયા સાથે ભારતનો વ્યવહાર ચાલતો રહ્યો, કેમ કે બંને દેશો વચ્ચે રૂબલ-રૂપિયામાં વિનિમય માટે કરાર શક્ય બન્યો હતો. ઈરાન સાથે એવું થઈ શક્યું નથી.
જોકે વેનેઝૂએલાથી મોટા પાયે આયાત કરવાનું તાત્કાલિક શક્ય નહીં બને, કેમ કે વચ્ચેના આ વર્ષોમાં ભારે બરબાદી થઈ છે. તેલના કૂવાને અને તેના પરની મશીનરીને અત્યાધુનિક કરવી પડે તે થઈ નથી. ઉલટાની મશીનરી ખખડી ગયેલી છે. એક જમાનામાં રોજનું 30 લાખ બેરલ ક્રૂડ વેનેઝૂએલા ઉત્પન્ન કરવા લાગ્યું હતું. તે સૌથી ઊંચી સપાટીએ પહોંચવા માટે તેને સમય લાગશે, પણ ભારત તેના માટે અત્યારથી તૈયારી કરવા લાગે તો જ્યારે પણ ક્રૂડનું ઉત્પાદન વધવા લાગે ત્યારે એક સારો વિકલ્પ ઊભો રહે.
જોકે તેની આગળ હજી એક બીજી અડચણ પણ છે. વેનેઝૂએલામાં 2024માં પ્રમુખ માટેની ચૂંટણી પણ છે. એ ચૂંટણી કેટલી મુક્ત અને ન્યાયી થશે તેના પર પણ ઘણો આધાર છે. નવી સરકાર જ ક્રૂડ સેક્ટરને સુધારવાનું કામ કરી શકશે. હાલના પ્રમુખ નિકોલા માડુરોએ અમેરિકા સાથે આ મુદ્દે જ સમાધાન કર્યું છે કે તે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજશે અને દેશમાં લોકતાંત્રિક પ્રણાલીઓ પરત લાવશે. બીજું કે ભારતમાં પણ 2024માં ચૂંટણી થવાની છે અને અમેરિકામાં પણ થવાની છે. ત્રણેય દેશમાં સુકાનીઓ બદલાશે કે એક રહેશે તેના પર પણ ઘણી બાબતો નિર્ભર રહેવાની છે.
રશિયા પર પ્રતિબંધ મૂકાયો ત્યારે ભારતે ઉલટાનો ફાયદો મેળવ્યો હતો. રશિયાનું તેલ ખરીદ્યા વિના યુરોપના કેટલાક દેશોને ચાલે તેમ નહોતું એટલે સ્વાર્થી નિર્ણય લેવાયો હતો કે મહત્તમ બેરલના 60 ડૉલરની કિંમતે ઓઇલ ખરીદવું. ભારતને તેનો વધારે ફાયદો મેળવ્યો, કેમ કે ભારતે રશિયા સાથે ડીલ કરીને તેનાથી પણ સસ્તા ભાવે ખનીજ તેલ મેળવ્યું હતું.
બીજું ભારતની રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા સાથે કામ કરે છે. તેના કારણે એક પ્રકારે વેલ્યૂ એડિશન પણ થયું. ભારતની પોતાની જરૂરિયાત મોટી છે, પણ તે જરૂરિયાત કરતાંય વધારે ક્રૂડ ભારતમાં આવતું રહ્યું છે. ભારતની રિફાઇનરીઓએ તેમાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવીને પછી દુનિયામાં ઉલટાની તેની નિકાસ કરીને પણ કમાણી કરી છે. ભારતની રિફાઇનરીનું રિફાન્ડ ક્રૂડ યુરોપ અને અમેરિકા સુધી પહોંચ્યું છે.
આ વાતને દુનિયાને જુદી રીતે વિદેશ પ્રધાન જયશંકરે યાદ કરાવી હતી. તેમણે કહ્યું કે વિશ્વએ ભારતનો આભાર માનવાની જરૂર છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે જગતના શાસકોને ભાન થાય કે ભારતે કઈ રીતે વિશ્વની ઓઈલ અને ઉર્જાની માર્કેટનું સંતુલન જાળવ્યું છે. ભારત એટલું મોટું ખરીદદાર છે કે તે રાબેતા મુજબ ખરીદી ચાલુ રાખે તો ઉર્જા માર્કેટ ક્યારેય નીચું ના આવે. તેના બદલે ભારતે બજાર ધગી ના જાય તે રીતે સ્ટ્રેટેજિક રીતે જ ક્રૂડ ઓઈલની આયાત કરવાની સ્ટ્રેટેજી અપનાવી છે.
ભારતની આ સ્ટ્રેટેજી બહુ જ અસરકારક રહી છે અને તેના કારણે યુક્રેનનું યુદ્ધ અને હાલમાં હમાસ અને ઈઝરાયલના યુદ્ધ છતાં ક્રૂડમાં એવો ભડકો નથી થયો કે આખી દુનિયા દાઝી જાય. ભારતની નીતિ રહી છે કે જ્યાંથી પણ સસ્તુ ક્રૂડ મળે ત્યાંથી લેવું. વેનેઝૂએલામાં સ્ટેબિલિટી આવશે તો ભારતનો ઉર્જા ઉદ્યોગ તેનો ભરપુર ફાયદો ઉઠાવશે અને તેનો આડકતરો ફાયદો વિશ્વને પણ થવાનો છે.