- ભારત પ્રથમ દાવમાં 307 રનમાં ઓલઆઉટ
- ઈંગ્લેન્ડનો બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ
- ટીમ ઈન્ડિયાને જીત માટે 192 રનનું લક્ષ્ય
રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે અંગ્રેજોનો બીજો દાવ 145 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. આ રીતે ભારતીય ટીમને 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી રવિ અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. રવિ અશ્વિને ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.
ભારતીય સ્પિનરો સામે ઇંગ્લિશ બેટ્સમેનો ઘૂંટણિએ
ઈંગ્લેન્ડ તરફથી ઓપનર ઝેક ક્રોલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. પરંતુ બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, બેન સ્ટોક્સ અને બેન ફોક્સ જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઈંગ્લેન્ડના છ બેટ્સમેન ડબલ ડિજીટને પાર કરી શક્યા ન હતા. આ પહેલા ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 307 રન પર સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા. આ રીતે અંગ્રેજોને 46 રનની મહત્વની લીડ મળી હતી. જો કે ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ છે.
ઝેક ક્રોલી ચમક્યો, પરંતુ બાકીના ઇંગ્લિશ બેટ્સમેનો ફલોપ
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર બેન ડકેટ 15 રન બનાવીને આઉટ થયો હતો. ઓલી પોપ કોઈ રન બનાવ્યા વિના રવિ અશ્વિનનો શિકાર બન્યો હતો. જો રૂટ 11 રન બનાવીને પેવેલિયન ગયો હતો. જોની બેરસ્ટોએ 30 રન બનાવ્યા હતા. ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ 4 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. જ્યારે બેન ફોક્સે 17 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના છ બેટ્સમેન બે આંકડાને પાર કરી શક્યા ન હતા. જેના કારણે ઈંગ્લિશ ટીમ માત્ર 145 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
જોકે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને 192 રનનો લક્ષ્યાંક મળ્યો છે. પરંતુ જે રીતે રાંચીની વિકેટ પર બોલ સ્પિન થઈ રહ્યો છે, ટીમ ઈન્ડિયા માટે પડકાર આસાન નહીં હોય.


