કામિકાઝ ડ્રોનને આજના સમયમાં યુદ્ધમાં એકદમ ઘાતક માનવામાં આવે છે, કારણ કે તે બીજા બધા જ હથિયારો કરતાં અલગ રીતે કામ કરે છે. આ ડ્રોન કોઈ લક્ષ્યને શોધીને તેના ઉપર લાંબા સમય સુધી ફરતા રહી શકે છે અને યોગ્ય ક્ષણે સીધા અથડાઈને પોતે જ વિસ્ફોટ કરે છે. આ કારણે હુમલો ખૂબ નિશાના ઉપર થાય છે અને આસપાસના વિસ્તારમાં ઓછું નુકસાન થાય છે. આતંકવાદી ઠેકાણા, બંકર, રડાર સિસ્ટમ અથવા સૈન્ય વાહનો જેવા ચોક્કસ લક્ષ્યોને નષ્ટ કરવા માટે આવા ડ્રોન બહુ અસરકારક સાબિત થાય છે.
ડ્રોનની બીજી મોટી ખાસિયત
આ ડ્રોનની બીજી મોટી ખાસિયત એ છે કે તેમાં માનવજીવનનો સીધો જોખમ નથી. સામાન્ય રીતે હવાઈ હુમલામાં પાયલટ અથવા સૈનિકોને જોખમ લેવો પડે છે, જ્યારે કામિકાઝ ડ્રોન આ જોખમ રહેતું નથી એટલે કે તેમાં સૈનિકોની જાનને ખતરો નથી . એટલે જોખમી વિસ્તારોમાં પણ તેને મોકલી શકાય છે. દુશ્મન છુપાઈ જાય અથવા તરત દેખાતો ન હોય તો પણ આ ડ્રોન 30થી 40 મિનિટ સુધી આકાશમાં રહીને યોગ્ય તકની રાહ જોઈ શકે છે.
GPS આધારિત સિસ્ટમ
કામિકાઝ ડ્રોન નાના કદના હોવા છતાં વિસ્ફોટક પેલોડ ધરાવે છે, જે લક્ષ્યને ગંભીર નુકસાન પહોંચાડવા માટે પૂરતો હોય છે. કેટલાક ડ્રોનમાં GPS અને સેન્સર આધારિત સિસ્ટમ હોય છે, જેથી તેઓ ખૂબ ચોક્કસ રીતે માર્ગદર્શન મેળવી શકે છે. આ કારણે સામાન્ય મિસાઇલ અથવા બોમ્બની સરખામણીએ આ ડ્રોન ઓછા ખર્ચે વધુ અસરકારક સાબિત થાય છે. આ બધાં કારણોને ધ્યાનમાં રાખીને જ ભારત સરકાર મોટા પ્રમાણમાં કામિકાઝ ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. આધુનિક યુદ્ધ હવે ફક્ત સૈનિકોની સંખ્યા પર નહીં પરંતુ ટેક્નોલોજી પર આધાર રાખે છે અને કામિકાઝ ડ્રોન આ બદલાતા યુદ્ધ સ્વરૂપનું મહત્વપૂર્ણ હથિયાર બની ચૂક્યા છે.


