- નેતા મૌલાના ફઝલ ઉર રહેમાને પાકિસ્તાનની સંસસદમાં દેશનો અરીસો બતાવ્યો
- ભારત વૈશ્વિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને પાકિસ્તાન વિશ્વ પાસે ભીખ માંગે છે
- ભારત અને આપણી સરખામણી કરો, બંને દેશોને એક જ દિવસે આઝાદી મળી હતી
પાકિસ્તાનના અગ્રણી નેતા મૌલાના ફઝલ ઉર રહેમાને પાકિસ્તાનની સંસદમાં પોતાના દેશને અરીસો બતાવ્યો છે. ફઝલ ઉર રહેમાને કહ્યું કે જ્યારે ભારત વૈશ્વિક મહાસત્તા બનવાની નજીક જઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાન પોતાને વિનાશથી બચાવવા માટે વિશ્વને ભીખ માંગી રહ્યું છે. રહેમાને પાકિસ્તાની સેનાને પણ આડે હાથ લીધી હતી.
PTIની સંસદમાં બહુમતી હોય તો, સરકાર બનાવવાની મંજૂરી આપે
જમીયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ JUI-Fના વડા રહેમાને નેશનલ એસેમ્બલીમાં શક્તિશાળી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમને 2018ની ચૂંટણી સામે પણ વાંધો હતો અને અમને આ 8 ફેબ્રુઆરીની ચૂંટણી સામે પણ વાંધો છે. જો 2018ની ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી તો હાલની ચૂંટણીમાં ગોટાળા કેમ ન થયા? રહેમાને પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના શાસક ગઠબંધનને વિનંતી કરી કે જો પીટીઆઈની સંસદમાં બહુમતી હોય તો તેને સરકાર બનાવવાની મંજૂરી આપે. તેમણે કહ્યું કે ચાલો આપણે અહીં વિરોધી સીટ પર બેસીએ અને જો પીટીઆઈ ખરેખર મોટી પાર્ટી છે તો તેમને સરકાર આપો.
ફઝલ ઉર રહેમાને ગૃહમાં શું કહ્યું?
તેમના ભાષણ દરમિયાન તેમણે ભારત સાથે સમાનતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, જરા ભારત અને આપણી સરખામણી કરો, બંને દેશોને એક જ દિવસે આઝાદી મળી હતી, પરંતુ આજે ભારત મહાસત્તા બનવાના સપના જોઈ રહ્યા છે અને આપણે પોતાને નાદારીથી બચાવવા માટે ભીખ માંગી રહ્યા છીએ. તેમણે કહ્યું કે નિર્ણયો કોઈ બીજા દ્વારા લેવામાં આવે છે પરંતુ રાજકારણીઓને સમસ્યાઓ માટે જવાબદાર ગણવામાં આવે છે.
1973 થી CIIની એક પણ ભલામણ લાગુ કરવામાં આવી નથી
રહેમાને ઇસ્લામિક સિદ્ધાંતો જાળવવાના મહત્વ પર ભાર મૂકતા, કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઇડિયોલોજી – CII ની ભલામણોને લાગુ કરવામાં નિષ્ફળતા માટે પણ શોક વ્યક્ત કર્યો હતો. મૌલાના ફઝલ ઉર રહેમાને કહ્યું કે આપણને દેશ ઈસ્લામના નામે મળ્યો, પરંતુ આજે આપણે ધર્મનિરપેક્ષ રાજ્ય બની ગયા છીએ. 1973 થી CIIની એક પણ ભલામણ લાગુ કરવામાં આવી નથી. આપણે ઇસ્લામિક દેશ કેવી રીતે બની શકીએ? CCI એ કાયદાના ઇસ્લામીકરણમાં મદદ કરવા માટે રચાયેલ બંધારણીય સંસ્થા છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન નાદારીથી બચવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે ભીખ માંગી રહ્યું છે.
JUI-F ગઠબંધન સરકારનો ભાગ બન્યો
મૌલાના ફઝલ ઉર રહેમાનની પાર્ટી JUI-F પીટીઆઈની કટ્ટર હરીફ હતી અને તેણે ઈમરાન ખાનને હટાવવા માટે પગલાં લીધાં હતાં. તેમના પતન પછી, JUI-F ગઠબંધન સરકારનો ભાગ બન્યો. જો કે, ચૂંટણી પછી તેણે પીએમએલ-એન અને પીપીપી સાથે સંબંધો તોડી નાખ્યા. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે ચૂંટણીમાં ધાંધલધમાલ કરવામાં આવી હતી.


