ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને હવે દુનિયાની મહાસત્તાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. અત્યારે યુદ્ધ સ્થિતિનો માહોલ જોતા G7 દેશોએ બંને દેશોને શાંત રહેવા અપીલ કરી છે. દુનિયામાં અત્યારે રશિયા, ઇઝરાયલ, ગાઝા અને યુક્રેન દેશો વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ યુદ્ધ તરફ જતા દુનિયામાં એક ત્રીજુ વિશ્વ યુદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે. G7 દેશોએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખી વાતચીતથી ઉકેલ લાવવા અપીલ કરી છે.
આતંકવાદને સમર્થન નથી આપતા
આ સાથે જ G7 દેશોએ એમ પણ કહ્યું કે અમે આતંકવાદની નિંદા કરીએ છીએ. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે આતંકવાદ છે જેને તમામ દેશો પણ વખોડે છે. મહત્વનું છે કે G7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. આ તમામ દેશોએ પોતાના એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે અમે આતંકવાદને સમર્થન આપતા નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે યુદ્ધ એ જ અંતિમ માર્ગ છે. G7 દેશોએ નાગરિકોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે G7 દેશોએ ભારત અને પાકિસ્તાનને પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રથમ મૂકવા અપીલ કરી છે.
ભારતનો કરારો જવાબ
જણાવી દઈએ કે ભારત દ્વારા ત્રણ પાકિસ્તાની એરબેઝ પર મિસાઇલો છોડવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને ભારતમાં 36 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે પાકિસ્તાને પણ શનિવાર, 10 મે, 2025 ના રોજ તેના હવાઈ ક્ષેત્રને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ સવારે 3:15 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી અમલમાં રહેશે અને આ સમય દરમિયાન કોઈપણ ફ્લાઇટ હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી શકશે નહીં. પાકિસ્તાને ભારતીય એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કરતા ભારતીય સેનાએ આક્રમક વલણ અપનાવ્યું અને પાકિસ્તાનના ઘણા એરબેઝને ઉડાવી દીધા.


